LG ની CBI તપાસની ભલામણ પર કેજરીવાલ લાલ ચોળ, કહ્યું ‘જેલથી ડર નથી લાગતો, અમે ભગતસિંહના સંતાનો’
CM કેજરીવાલે કહ્યું કે LGએ કેન્દ્ર સરકારના ઈશારે CBI તપાસની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે મનિષ સિસોદિયા એક પ્રામાણિક માણસ છે અને હવે કેન્દ્ર સરકાર તેમને ફસાવવાની યોજના બનાવી રહી છે.
દિલ્હી (Delhi) ની અરવિંદ કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે એક્સાઈઝ પોલિસી (Excise Policy)ને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ઉપરાજ્યપાલ (LG) વીકે સક્સેનાએ કેજરીવાલ (Kejrival)સરકારની એક્સાઈઝ પોલિસી 2021-22 માં નિયમોના ભંગ અને ખામીઓને લઈને તેની CBI તપાસની ભલામણ કરી છે. જેને લઈને આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. CM કેજરીવાલે કહ્યું કે LGએ કેન્દ્ર સરકારના ઈશારે CBI તપાસની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે અમે જેલમાં જવાથી નથી ડરતા. અમે ભગતસિંહના સંતાનો છીએ.
CM કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકાર જાણી જોઈને દિલ્હી સરકારના કામમાં અડચણ ઉભી કરી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે. તેમણે પહેલા EDનો દુરુપયોગ કરીને દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને જેલમાં મોકલ્યા અને હવે તેઓ રાજ્યના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદિયાને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “હું સિસોદિયાને વર્ષોથી ઓળખું છું. તે એક કટ્ટર પ્રામાણિક માણસ છે અને હવે કેન્દ્ર સરકાર તેમને ફસાવવાની યોજના બનાવી રહી છે.”
આ તરફ AAPના વરિષ્ઠ નેતા દિલીપ પાંડેએ ટ્વિટ કર્યું, “આખું ભારત જાણે છે કે મનીષ સિસોદિયાએ કેટલી પ્રમાણિકતાથી દિલ્હીના બાળકો માટે શાળાઓ બનાવી છે અને અનેક સારા કામો કર્યા છે. હકીકતમાં મોદીજી કેજરીવાલની વધતી લોકપ્રિયતાથી ડરી ગયા છે, આથી તમામ કામ છોડીને ED, CBI પાસે નકલી કેસ કરાવી રહ્યા છે, પરંતુ અમે આ બધાથી ડરતા નથી. અમે પહેલેથી જ કહ્યું છે કે આ લોકો અનેક નક્લી કેસ કરશે. આ લોકો મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા લોકોને દેશમાંથી ભગાડી દે છે અને સમગ્ર વિશ્વમાં ખાનગીમાંથી શ્રેષ્ઠ સરકારી શાળા બનાવવા માટે ભારતને ગૌરવ અપાવનાર મનીષ સિસોદિયા સામે ખોટો કેસ દાખલ કરે છે.”