સુપ્રિમ કોર્ટથી હવે કોઈ આશા નથી, કપિલ સિબ્બલે SCના તાજેતરના નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી
કપિલ સિબ્બલે કહ્યું, જો તમને લાગે છે કે તમને સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) રાહત મળશે તો તમે ખોટા છો. હું આ સર્વોચ્ચ અદાલતમાં મારો 50 વર્ષનો અનુભવ પૂરો કર્યા પછી કહી રહ્યો છું.
રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે (Kapil Sibal) સુપ્રીમ કોર્ટના (Supreme Court) તાજેતરના કેટલાક ચુકાદાઓ પર નારાજગી વ્યક્ત કરી છે અને સ્પષ્ટ સ્વરમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ વિશે તેમનામાં કોઈ આશા બાકી નથી. સિબ્બલે કહ્યું, જો તમને લાગે છે કે તમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે તો તમે ખોટા છો. હું આ સર્વોચ્ચ અદાલતમાં મારો 50 વર્ષનો અનુભવ પૂરો કર્યા પછી કહી રહ્યો છું. કપિલ સિબ્બલે કહ્યું કે ભલે સુપ્રીમ કોર્ટે ઘણા ઐતિહાસિક ચુકાદાઓ સંભળાવ્યા હોય, પરંતુ તેનાથી જમીની વાસ્તવિકતા ભાગ્યે જ બદલાશે.
તેમણે કહ્યું, આ વર્ષે સુપ્રીમ કોર્ટમાં મારી પ્રેક્ટિસના 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 50 વર્ષ પછી હું કહી રહ્યો છું કે હવે મને આ સંસ્થા પાસેથી કોઈ આશા નથી. લોકો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયો વિશે વાત કરે છે. પરંતુ જમીની સ્તરે જે થાય છે તેમાં ઘણો ફરક છે. સુપ્રીમ કોર્ટે પ્રાઈવસી પર ચુકાદો આપ્યો, પરંતુ EDના અધિકારીઓ તમારા ઘરે આવી રહ્યા છે. હવે ગોપનીયતા ક્યાં છે?’
ગુજરાત રમખાણો અંગેના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી
કપિલ સિબ્બલે 6 ઓગસ્ટના રોજ દિલ્હીમાં કેમ્પેઈન ફોર જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી એન્ડ રિફોર્મ (CJAR), પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL) અને નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મૂવમેન્ટ્સ (NAPM) દ્વારા આયોજિત પીપલ્સ ટ્રિબ્યુનલમાં આ ટિપ્પણી કરી હતી. આ પીપલ્સ ટ્રિબ્યુનલનું ધ્યાન સંપૂર્ણપણે 2009માં છત્તીસગઢમાં આદિવાસીઓના નરસંહાર અને 2022ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ પર હતું.
સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયો પર નારાજગી
સિબ્બલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની પણ ટીકા કરી હતી જેમાં કોર્ટે ગુજરાત રમખાણો (2002) માં PM નરેન્દ્ર મોદી અને અન્ય કેટલાકને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. કપિલે EDના સૌથી મોટા હથિયાર ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ને યથાવત રાખવા બદલ કોર્ટની ટીકા પણ કરી હતી.
કોર્ટે પીએમએલએ એક્ટને યથાવત રાખ્યો હતો અને કહ્યું હતું કે EDને જે પણ સત્તા આપવામાં આવી છે તે યોગ્ય છે. સિબ્બલે છત્તીસગઢમાં નક્સલ વિરોધી કામગીરી દરમિયાન સુરક્ષા દળો દ્વારા 17 આદિવાસીઓની હત્યાની સ્વતંત્ર તપાસની માગ કરતી 2009ની અરજીને ફગાવી દેવાના કોર્ટના નિર્ણયની પણ નિંદા કરી હતી.