કેરળમાં ત્રાટક્યુ NIA, PFI નેતાઓના 56 સ્થળોએ પાડ્યા દરોડા
પીએફઆઈના નેતાઓ દ્વારા પ્રતિબંધિત સંગઠનને અન્ય કોઈ નામથી ફરીથી શરૂ કરવાની યોજનાને અમલમાં મૂકવામાં આવી રહ્યું હોવાની વિગતોને આધારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ( NIA ) દરોડા પાડ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના બીજી હરોળના નેતાઓને નિશાન બનાવીને ગુરુવારે વહેલી સવારે કેરળમાં 56 સ્થળોએ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પીએફઆઈના નેતાઓ દ્વારા પ્રતિબંધિત સંગઠનને અન્ય કોઈ નામથી ફરીથી શરૂ કરવાની યોજનાને અમલમાં મૂકવામાં આવી રહ્યું હોવાની વિગતોને આધારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દરોડા પાડ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે એર્નાકુલમમાં પીએફઆઈના નેતાઓ સાથે જોડાયેલ આઠ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, તિરુવનંતપુરમમાં છ જગ્યાઓ એનઆઈએના રડાર પર હતી. NIAએ આ દરોડા આજે વહેલી સવારે 4 વાગ્યે શરૂ કર્યા હતા.આ સમાચાર લખ્યા ત્યાં સુધી દરોડાની કાર્યવાહી ચાલુ રહેવા પામી છે.
PFIની સ્થાપના 2006માં કરાઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના 2006ના વર્ષમાં કેરળમાં થઈ હતી. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ 2009માં, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાની પણ રચના કરી હતી. જે એક રાજકીય મોરચો ગણાય છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને નવેમ્બરમાં કેરળમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ત્રણ સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પીએફઆઈના ગુનાહિત કાવતરાથી સંબંધિત કેસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
અગાઉ સપ્ટેમ્બરમાં પાડ્યા હતા દરોડા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NIAના પ્રવક્તાએ કહ્યું હતું કે, કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લામાં શંકાસ્પદ સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ડિજિટલ સાધનો અને દસ્તાવેજો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી હતી. આ પહેલા 22 સપ્ટેમ્બરે દેશભરમાં 39 સ્થળોએ PFIના અલગ અલગ ઠેકાણાઓ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.