કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં જોવા મળ્યા સાયટોમેગાલો વાયરસ, જાણો તેનાથી કેવી થાય છે શરીરમાં તકલીફ
કોરોના ( corona ) સંક્રમણને લીધે રોગપ્રતિકાર શક્તિ ઓછી હોય તેવા દર્દીઓમાં મ્યુકરમાઈકોસીસના ઘણા કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. પરંતુ હવે CVM સંક્રમણ નબળી રોગપ્રતિકાર શક્તિ ધરાવતા દર્દીઓમાં પણ જોવા મળી રહ્યો છે.
મ્યુકરમાઈકોસીસ ( Mucormycosis ) બાદ, દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓમાં (corona patients) સાયટોમેગાલો વાયરસ (Cytomegalovirus – CVM ) ની હાજરીનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં સીએમવીથી પિડાતા હોય તેવા દેશના પ્રથમ પાંચ દર્દીઓ સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ થયા છે. કોરોનાની સારવાર લીધા પછી, આ દર્દીઓને પેટમાં દુખાવો થવો અને ઝાડાવાટે લોહી નિકળવાની સમસ્યા માટે દાખલ કરવામાં આવ્યા છે.
ડોકટરને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા રીપોર્ટ અનુસાર, કોરોના સંક્રમણને લીધે રોગપ્રતિકાર શક્તિ ઓછી હોય તેવા દર્દીઓમાં મ્યુકરમાઈકોસીસના ઘણા કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. પરંતુ હવે CVM સંક્રમણ નબળી રોગપ્રતિકાર શક્તિ ધરાવતા દર્દીઓમાં પણ જોવા મળી રહ્યો છે. જો કે, આના કારણો હજી સુધી જાણવા મળ્યા નથી.
સર ગંગા રામ હોસ્પિટલના વરિષ્ઠ તબીબ ડો.અનીલ અરોરાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમીતોમાં અચાનક જ સાયટોમેગાલો વાયરસના કેસ દેખાવા લાગ્યા છે. આ સ્થિતિ ફક્ત છેલ્લા 45 દિવસમાં જ સામે આવી છે. 20 થી 30 દિવસની સારવાર પછી, દર્દીઓ પેટમાં દુખાવો થવો અને ઝાડાવાટે રક્તસ્રાવ થતો હોવાની ફરીયાદ સાથે હોસ્પિટલમાં આવ્યા છે. આવા પાંચ દર્દીઓમાં હાલમાં કોરોનાના કોઈ જ લક્ષણ જણાયા નથી.
તેમણે કહ્યું કે દેશમાં હજી સુધી આ પ્રકારની આરોગ્યલક્ષી સમસ્યા ધરાવતા કોઈ કેસ નોંધાયા નથી. આ દર્દીઓ પ્રથમ વખત મળી આવ્યા છે. આ બધા દર્દીઓ દિલ્હી અને આજુબાજુના રાજ્યોના છે.
નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો માટે જોખમ ડોકટરનું કહેવુ છે કે, મ્યુકરમાઈકોસીસની જેમ, સ્ટીરોઇડ ધરાવતી દવાઓનો વધુ પડતો ઉપયોગ, આ પ્રકારની શારીરિક સમસ્યાનું મુખ્ય કારણ હોઈ શકે છે, કારણ કે કોરોનાની સારવાર દરમિયાન અપાયેલી કેટલીક દવાઓ, આંતરીક રોગપ્રતિકારશક્તિને નબળી કરે છે અને તેના કારણે જ આ પ્રકારના રોગ માટે શક્યતા ઉભી થાય છે. સાયટોમેગાલો વાયરસ 80 થી 90 ટકા ભારતીય વસ્તીમાં કોઈ નુકસાન પહોંચાડ્યા વિના હાજર છે, પરંતુ આપણી રોગપ્રતિકારશક્તિ એટલી મજબૂત છે કે તેને શરીરમાં હાવી થવા દેતી નથી.