નવા મુખ્યપ્રધાન બે દિવસમાં લેશે શપથ, નવા મંત્રીમંડળમાં કેટલાકના પત્તા કપાશે, વર્તમાન પ્રધાનોના ખાતામાં ફેરબદલ થશે
નવા મુખ્યપ્રધાનની શપથવિધિની સાથે રાજ્યમાં નવુ પ્રધાનમંડળ પણ અસ્તિત્વમાં આવશે. રાજકીયક્ષેત્રે એવુ ચર્ચાઈ રહ્યુ છે કે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં વર્તમાન કેટલાક પ્રધાનોના ખાતામાં ફેરફાર કરાશે.
ગુજરાતના મુખ્યપ્રધાનપદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે આજે રવિવારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બે કેન્દ્રીય નિરીક્ષકની હાજરીમાં ધારાસભ્યોની બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતના નવા મુખ્યપ્રધાનની શપથવિધિ આગામી બે દિવસમાં સાદગીથી કરવામાં આવે તેવી સંભાવના છે.
નવા મુખ્યપ્રધાનની શપથવિધિની સાથે રાજ્યમાં નવુ પ્રધાનમંડળ પણ અસ્તિત્વમાં આવશે. રાજકીયક્ષેત્રે એવુ ચર્ચાઈ રહ્યુ છે કે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં વર્તમાન કેટલાક પ્રધાનોના ખાતામાં ફેરફાર કરાશે. તો કેટલાક પ્રધાનોના પત્તા કપાઈ પણ શકે છે. સામાન્ય રીતે 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને જ્ઞાતિ અને જાતિના સમિકરણોને આધારે નવા પ્રધાનમંડળમાં કેટલાક નવા સભ્યોને સમાવવામાં આવી શકે છે. તો વિજય રૂપાણીના પ્રધાનમંડળમાં રહેલા કેટલવાક પ્રધાનોના પત્તા કપાઈ પણ શકે છે. સાથોસાથ વર્તમાન પ્રધાનોને ફાળવેલા ખાતાઓમાં ફેરફાર પણ થવાની પૂરી સંભાવના છે.
ગુજરાતમાં રાજકીય ક્ષેત્રના તજજ્ઞોનુ માનવુ છે કે, ભાજપે 2022ની ચૂંટણીને ધ્યાને લઈને કરેલા સર્વેમાં પ્રધાનોની કામગીરીની પણ સમિક્ષા હાથ ધરી હતી. જેમાં કેટલાક પ્રધાનોની કામગીરી સંતોષકારક નહોતી જણાઈ. આવા નબળી કામગીરી ધરાવનારા પ્રધાનોને નવા પ્રધાનમંડળમાંથી પડતા મુકાઈ શકે છે. તો ગુજરાતના પ્રદેશ અને ઝોનવાર કેટલાક ફેરફારો કરીને નવા પ્રધાનોને જ્ઞાતિ અને જાતિના સમિકરણોની સાથે પ્રધાનોને સમાવવામાં આવશે.
રાજકીયક્ષેત્રે થઈ રહેલી ચર્ચા મુજબ ગુજરાતમાં પણ ઉતરપ્રદેશની માફક બે નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યુલા અપનાવવામાં આવે તેવી સંભાવના છે. જેમાં એક ઓબીસી અને બીજા અનુસુચિત જનજાતિના હોવાનું કહેવાઈ રહ્યુ છે. ખાસ કરીને બીજા નાયબ મુખ્યપ્રધાન દક્ષિણ- પૂર્વ ગુજરાતમાંથી લેવાશે.
ભાજપના મહત્વના અગ્રણી નેતા અને કાર્યકરોને બોર્ડ અને નિગમના અધ્યક્ષ બનાવવાની સાથોસાથ બોર્ડ નિગમમાં ડિરેકટર તરીકે પણ નિમણૂંક કરવામાં આવી શકે છે તેમ રાજકીય ક્ષેત્રના તજજ્ઞોનુ માનવુ છે. ભાજપ 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જ હવે નવેસરથી તમામ પગલા ભરશે તેમ કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 1960થી 2021 સુધીના 61 વર્ષમાં 21 મુખ્યપ્રધાન બન્યા, સપ્ટેમ્બર મહિનામાં ઘટી અનેક રાજકીય ઘટનાઓ