My India My Duty: દેહ વેપારની અંધારી કોટડીમાં આશાનું કિરણ ફેલાવતી સુનિતા કૃષ્ણનન
My India My Duty દેશના બધા જ મોટા શહેરોમાં માનવ તસ્કરી અને દેહ વેપારનો (prostitution) ધંધો ધમધોકાર ચાલતો હોય છે. લાખો યુવતીઓ અને બાળકીઓ આનો શિકાર થઈ ગઈ હોય છે
My India My Duty દેશના બધા જ મોટા શહેરોમાં માનવ તસ્કરી અને દેહ વેપારનો (prostitution) ધંધો ધમધોકાર ચાલતો હોય છે. લાખો યુવતીઓ અને બાળકીઓ આનો શિકાર થઈ ગઈ હોય છે અને આ બહારથી રોશન લાગતી આ દુનિયાના ઝગમગારા પાછળના અંધકારમાં ધકેલી દેવાય છે અને જીવતે જીવ તેના માટે નર્કના દરવાજા હંમેશા માટે ખૂલી જાય છે. આવા મુદ્દાઓ માટે ભાગ્યે જ કોઈ અવાજ ઉપાડે છે બાકી મોટાભાગે સભ્ય કહેવાતો સમાજ આવા વિષયો પર ચુપ્પી સાધી દે છે અને લાખો મહિલાઓની જિંદગી બરબાદ કરતાં લોકોને મોકળૂ મેદાન મળી જાય છે અને ખુલ્લેઆમ પોતાની પાપ લીલા આચરતા હોય છે.
આ બધાની વચ્ચે પણ એક ઉમ્મીદનો પર્યાય સમાન ‘સુનિતા કૃષ્ણનન ‘છે કે જે આવી પીડિત મહિલાઓના જીવનમાં આશાનું કિરણ બનીને આવી છે. દેહ વેપારની અંધારી કોટડીમાં પુરાયેલી મહિલાઓ માટે આશાનો દિપક પ્રગટાવતી આ સુનિતા કૃષ્ણનન પોતે એકલી જ આ મિશન પર નીકળી પડી છે. Sunita Krishnanએ અત્યાર સુધી હજારો મહિલાઓ અને બાળકીઓને આ દેહ વેપારના કાળા કારોબારમાંથી બહાર કાઢી છે. આ માટે થઈને તેને 2016માં દેશનો સૌથી સમ્માનિત એવોર્ડ ‘પદ્મશ્રી’થી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રજ્વલાના 25 વર્ષ
દેહ વેપારના નર્કમાંથી પીડિત મહિલાઓને બહાર કાઢવા માટે વર્ષ 1996માં પ્રજ્વલા નામથી એક સંસ્થાની શરૂઆત કરી હતી. જેમાં યૌન અપરાધોથી પીડિત મહિલાઓને બચાવીને તેમના ઉત્થાન અને પુનર્વસન માટે કામ કરવામાં આવે છે. પોતાના આ 25 વર્ષના કાર્યકાળ દરમ્યાન પોલીસની મદદથી 24,000થી પણ વધારે મહિલાઓ, યુવતીઓને બચાવી હતી. તેમજ તેના ઉત્થાન અને પુનર્વસન માટે પણ સતત આ સંસ્થા કામ કરી કરી રહી છે.
ખુદ ગેંગ રેપનો થઈ ચૂકી છે શિકાર
સુનિતા જણાવે છે તે ખુદ એક ગેંગરેપનો શિકાર થયેલી છે. 16 વર્ષની ઉમરે તેના પર 8 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. જે વાતનું તેને અત્યંત લાગી આવતા તેને જીવનમાં વિચારી લીધું હતું કે આવા લોકો માટે કંઈક કરી છૂટવું છે અને પછી તેને પ્રજ્વલાની શરૂઆત કરી. તે વધુમાં જણાવતા કહે છે કે દેહ વેપાર સાથે જોડાયેલી મહિલાઓને બચાવવી કોઈ સરળ કામ હોતું નથી. આખા આ નેટવર્ક પાછળ મોટા માથાઓ જોડાયેલા હોય છે. એકવાર દેહ વેપાર માફિયાઓએ સુનિતાની ટીમના લોકો પર હુમલો કર્યો હતો અને એકવાર તો તેની સામે તેના જ એક સ્ટાફની હત્યા કરી દેવામાં આવી હતી.
વર્ષ 1972માં જન્મેલી સુનિતા કૃષ્ણનનને નાનપણથી જ પોતાના ઘર પાસેના એક ગામડામાં રહેતા ગરીબ બાળકોને ભણાવવાનો શોખ હતો. 8 વર્ષની ઉમરમાં જ તેને માનસિક અને દિવ્યાંગ બાળકોને ડાન્સ શિખવવાનું શરૂ કરી દીધું હતું. 12 વર્ષની ઉંમર જ તેને જરૂરિયાતમંદ ઝુંપડપટ્ટીના બાળકોને મફત ભણાવવાનું શરૂ કરી દીધું હતું.
સુનિતા પર સામૂહિક દુષ્કર્મ
16 વર્ષની ઉંમરે જ્યારે દલિત વર્ગ માટે સાક્ષરતા અભિયાન ચલાવી રહી હતી, ત્યારે એક દિવસ ગામના 8 લોકોએ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો. આ ઘટનાની તેના જીવન પર ઊંડી અસર થઈ. એ તેને આવી ઘટનાઓથી પીડિત અને યૌન અપરાધોનો ભોગ બનેલી યુવતીઓ અને મહિલાઓ માટે કામ કરવાનું વિચારી લીધું હતું અને પછી પ્રજ્વલા સંસ્થાનું નિર્માણ કર્યું.
સુનિતાની હત્યાની કોશિશ
પ્રખ્યાત ટીવી શો કૌન બનેગા કરોડપતિ દરમ્યાન સુનિતાએ જણાવ્યું હતું કે તેની ઉપર આશરે 17 વાર ખૂની હુમલા થઈ ચૂક્યા છે. સુનિતા કહે છે “જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી હું આવી મહિલાઓ માટે કામ કરતી રહીશ, મારુ સમગ્ર જીવન આવી મહિલો માટે મેં સમર્પિત કરી દીધું છે.
ભારતના આંકડા
એક રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં જાતીય હુમલોની સંખ્યા દેશભરમાં 86,001 હતી, જે કુલ IPC ગુનાના 2.8 ટકા હતી. 2017માં લગ્નના ઈરાદે મહિલાઓના બળજબરીથી અપહરણ કરવાના 30,614 કેસ નોંધાયા હતા, જ્યારે બળાત્કારના પ્રયાસના 4,154 કેસ નોંધાયા હતા. ભારતમાં દરરોજ 90થી વધુ બળાત્કારની ઘટનાઓ બની રહી છે, પરંતુ દોષિતોને દોષી ઠેરવવાનો નીચો દર ચિંતાજનક છે. વર્ષ 2017માં વિવિધ અદાલતોમાં 1.27 લાખથી વધુ કેસ પેન્ડિંગ હતા. તે વર્ષે માત્ર 18,300 કેસોમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Sharad Pawar આપી રહ્યા છે ખોટી જાણકારી, નવા કાયદાથી નહીં પડે APMC પર અસર: નરેન્દ્રસિંહ તોમર