સ્વિસ બેંકોમાં ભારતીયોનું કાળું ધન વધીને થયું 20 હજાર કરોડ, મોદી સરકારે રિપોર્ટ વિશે આપ્યો આ જવાબ
સ્વિસ બેંકમાં ભારતીયોનું કાળું ધન વધ્યાના અહેવાલોને નકારી કાઢતા કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે ભારત અને સ્વિટ્ઝર્લન્ડ દ્વારા કરવેરા બાબતોમાં પરસ્પર વહીવટી સહાયતા (MAAC) પર બહુપક્ષીય સંમેલન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે સ્વિટ્ઝર્લેન્ડની બેંકોમાં ભારતીયો દ્વારા જમા નાણાં 20 હજાર કરોડને પાર કરી ગયા છે. ભારત સરકારે આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી દીધા છે. સરકારે શનિવારે એવા અહેવાલોને નકારી દીધા છે કે ભારતીયોએ સ્વિટ્ઝર્લેન્ડમાં કાળું નાણું પકડ્યું છે અને કહ્યું કે તેણે જમા નાણાંની વિગતો ચકાસવા માટે સ્વિસ અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને માહિતી પૂરી પાડવાની માંગ કરી છે.
સ્વિસ બેન્કોમાં ભારતીયોના નાણામાં વધારો
સ્વિત્ઝરલેન્ડની સેન્ટ્રલ બેંક દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા વાર્ષિક આંકડા મુજબ, વર્ષ 2020 દરમિયાન સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો, સંસ્થાઓ અને કંપનીઓની થાપણો વધીને 2.55 અબજ સ્વિસ ફ્રેન્ક (આશરે 20,700 કરોડ) થઈ ગઈ છે. 2019 માં સ્વિસ બેંકોમાં જમા કરાયેલ નાણાં 6628 કરોડ રૂપિયા હતા. અહેવાલ અનુસાર વર્ષ 2020 માં સ્વિસ બેંકોમાં વર્ષ 2019 ની તુલનામાં કુલ થાપણ 286 ટકા થઈ ગઈ છે. 13 વર્ષમાં આ સૌથી વધુ વધારો માનવામાં આવી રહ્યો છે.
અહેવાલો અનુસાર આ આંકડાઓમાં સ્વિસ બેંકોમાં ત્રીજા દેશની સંસ્થાઓના નામે ભારતીય, એનઆરઆઈ અથવા અન્ય લોકોના પૈસા હોઈ શકે છે તેનો સમાવેશ નથી.
કેન્દ્રીય નાણાં મંત્રાલયે કહી આ વાત
આ બાબતે કેન્દ્રીય નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત અને સ્વિટ્ઝર્લન્ડ દ્વારા કરવેરા બાબતોમાં પરસ્પર વહીવટી સહાયતા (MAAC) પર બહુપક્ષીય સંમેલન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોએ બહુપક્ષીય સક્ષમ સત્તાધિકાર કરાર (એમસીએ) પર પણ હસ્તાક્ષર કર્યા છે, જે મુજબ કેલેન્ડર વર્ષ 2018 ના વાર્ષિક નાણાકીય ખાતાની માહિતી શેરિંગ માટે બંને દેશો વચ્ચે આપમેળે માહિતીનું આદાનપ્રદાન થઈ રહ્યું છે.
મંત્રાલયે કહ્યું વૃદ્ધિની સંભાવના નથી
ભારત અને સ્વિટ્ઝર્લન્ડ વચ્ચે વર્ષ 2019 અને 2020 ના બંને દેશોના રહેવાસીઓના સંદર્ભમાં નાણાકીય ખાતાની માહિતીની આપ-લે કરવામાં આવી છે. આવી માહિતી આપતા મંત્રાલયે આ આગળ જણાવ્યું કે નાણાકીય ખાતાની માહિતીના વિનિમય માટે હાલના કાનૂની શાસનને જોતા સ્વિસ બેંકોમાં થાપણો વૃદ્ધિની કોઈ નોંધપાત્ર સંભાવના જણાતી નથી.
કોંગ્રેસે કેન્દ્ર પર સાધ્યું નિશાન
આ બાબતે શુક્રવારે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સરકારે શ્વેતપત્ર લાવવું જોઈએ અને દેશવાસીઓને કહેવું જોઈએ કે આ કોના નાણાં છે? તેમજ વિદેશી બેંકોમાં રહેલા આ કાળા નાણાં પાછા લાવવા માટે કયા પગલાં લેવામાં આવી રહ્યા છે? પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે આરોપ લગાવ્યો હતો કે સત્તામાં આવતા પહેલા ભાજપે કાળા નાણાં લાવવા અને લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનું વચન આપ્યું હતું, પરંતુ સાત વર્ષ વીતી ગયા હોવા છતાં પણ તે પોતાનું વચન પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે.
આ પણ વાંચો: મોટી સફળતા: હવે આ સોફ્ટવેર જણાવશે કયા દર્દીને વેન્ટિલેટર અને આઈસીયુની જરૂર છે
આ પણ વાંચો: OMG: Undertaker સાથે થશે Akshay Kumar ની ફાઇટ! WWE એ શેર કરી આ પોસ્ટ, જુઓ