Afghanistan Crisis: ભારતનુ મિશન અફઘાનિસ્તાન, એક બે દિવસમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે
સુરક્ષા કારણોસર અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સંખ્યા સરકાર દ્વારા કહેવામાં આવી નથી. પરંતુ તેમને સુરક્ષિત ઘરે પરત લાવવા માટે ભારતીય વાયુસેનાના સી -17 ગ્લોબમાસ્ટર વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે.
તાલિબાનોના કબજા બાદ અફઘાનિસ્તાનમાં (Afghanistan) પરિસ્થિતિ બહુ ઝડપથી કથળવા લાગી છે. તેને જોતા ભારત સરકારે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને (Indian Citizens in Afghanistan) સ્વદેશ પરત લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોએ સમાચાર સંસ્થાને જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં હજુ પણ ઘણા ભારતીયો રહ્યાં છે, જેઓ સ્વદેશ પરત ફરવા માંગે છે. હાલમાં, તેઓ હિંસાગ્રસ્ત વિસ્તારોથી દૂર સુરક્ષિત વિસ્તારોમાં છે. ભારત સરકાર તેમને એક -બે દિવસમાં સુરક્ષિત સ્વદેશ પરત લાવશે.
સુરક્ષા કારણોસર અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સંખ્યા સરકાર દ્વારા કહેવામાં આવી નથી. પરંતુ તેમને સુરક્ષિત ઘરે પરત લાવવા માટે ભારતીય વાયુસેનાના સી -17 ગ્લોબમાસ્ટર ( C-17 Globemaster ) તૈનાત કરવામાં આવ્યા છે. એક વિમાન રવિવારે રાત્રે કાબુલ પહોંચ્યું અને ત્યાંથી કેટલાક ભારતીય મુસાફરો સાથે સોમવારે સવારે ભારતમાં પરત ફર્યુ હતુ. બીજું વિમાન પણ અફઘાનિસ્તાનના માર્ગે છે, જે ટૂંક સમયમાં ભારત પરત ફરવાનું છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ બંને વિમાનોએ કાબુલ એરપોર્ટના હજુ ઘણા ફેરા કરવાના બાકી છે. સરકારે પહેલેથી જ કહ્યું છે કે તે યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે, સ્થાનિક ભારતીય આગેવાનો સાથે સતત સંપર્કમાં છે.
‘અફઘાનિસ્તાન સેલ’ ભારતીયોને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે અગાઉ ભારત સરકારે કહ્યું હતું કે તે અફઘાનિસ્તાનમાં ઝડપથી કથળતી જતી પરિસ્થિતિ વચ્ચે પોતાના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોની ભારત પરત ફરવા માટે અન્ય બાબતોની સાથે ખાસ ‘અફઘાનિસ્તાન સેલ’ ની સ્થાપના કરી છે. લોકો વચ્ચેનો સંપર્ક વધારવા માટે હેલ્પલાઈન માટે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી પણ જાહેર કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારત પરત ફરતા લોકો વિશે સહયોગીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
યુએનએસસી અફઘાનિસ્તાનમાં હિંસાનો તાત્કાલિક અંત લાવવાનો આગ્રહ રાખે છે: તિરુમૂર્તિ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ અને સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રમુખ રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ સોમવારે, અફઘાનિસ્તાનમાં દુશ્મનાવટ અને હિંસાનો તાત્કાલિક અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ સ્વીકૃતિ અને કાયદેસરતા માટે એક રાજકીય સમાધાન હોવું જોઈએ જે મહિલાઓ, બાળકો અને લઘુમતીઓના માનવાધિકારનો સંપૂર્ણ જતન કરે.
આ પણ વાંચોઃ Good News for Taxpayers: હવે Income Tax પોર્ટલની સમસ્યાઓના હલ માટે નહિ કરવો પડે લાંબો સમય ઇંતેજાર
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન પર ભારતની સતત નજર, હિન્દુ અને શીખ સમુદાયના નેતાઓ સીધા સંપર્કમાંઃ એસ જયશંકર