Maharashtra: પ્રશાંત કિશોર ત્રીજી વખત શરદ પવારને મળવા પહોંચ્યા, દિલ્હીના રાજકારણમાં હલચલ
દિલ્હીનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) ત્રીજી વખત શરદ પવારના (Sharad Pawar) નિવાસસ્થાને પહોંચ્યા.
દિલ્હીનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) ત્રીજી વખત શરદ પવારના (Sharad Pawar) નિવાસસ્થાને પહોંચ્યા. પ્રશાંત કિશોર છેલ્લા 12 દિવસમાં ત્રીજી વખત શરદ પવારને મળ્યા. ગઈકાલે રાષ્ટ્રમંચના (Rashtra Manch) બેનર હેઠળ વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક મળી હતી. શરદ પવારના ઘરે મળેલી બેઠકમાં બિન ભાજપ અને બિન-કોંગ્રેસ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
તેમાં માજીદ મેમણ, એનસીપીના વંદના ચવ્હાણ, સમાજવાદી પાર્ટી (SP) ના ઘનશ્યામ તિવારી, સીપીઆઇના (CPI) બિનોય વિશ્વમ, સીપીએમના (CPM) નિલોત્પલ બસુ, આરએલડીના (RLD) જયંત ચૌધરી, નેશનલ કોન્ફરન્સના (NC) ઉમર અબ્દુલ્લા, આમ આદમી પાર્ટીના (AAP) સુશીલ ગુપ્તા જેવા નેતાઓ શામેલ થયા હતા.
બેઠક બાદ એનસીપી વતી મજીદ મેમને સ્પષ્ટ કર્યું કે, શરદ પવારના ઘરે બેઠક યોજાઇ હોવા છતાં શરદ પવાર દ્વારા બેઠક બોલાવવામાં આવી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ બેઠક ન તો મોદી વિરોધી અથવા ભાજપ વિરોધી દળોને એક કરવા માટે બોલાવવામાં આવી છે કે ન તો કોંગ્રેસને અલગ કરાવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે તેમણે કપિલ સિબ્બલ, મનીષ તિવારી અને અભિષેક મનુ સિંઘવી જેવા કોંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું.
પરંતુ વાસ્તવિકતા એ છે કે ઉત્તર પ્રદેશ, પંજાબની વિધાનસભાની અને 2024 ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હાલની સરકાર સામે મજબૂત વિરોધ પક્ષ ઉભું કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
ઘનશ્યામ તિવારીએ એસપી વતી પત્રકારોને જણાવ્યું હતું કે આ મંચ ફુગાવા, ખેડુતોની સમસ્યાઓ, અર્થતંત્ર અને દેશના અન્ય મુદ્દાઓ પર વિઝન આપશે. પરંતુ શરદ પવાર અને પ્રશાંત કિશોરની એક પછી એક ત્રણ બેઠક બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પગલું ખરેખર બિન-ભાજપ અને બિન-કોંગ્રેસ દળોને એક કરવાનો પ્રયાસ છે.
બેઠક બાદ નેતાઓની પ્રતિક્રિયા
ગઈકાલે બેઠક બાદ રિપબ્લિકન પાર્ટીના નેતા રામદાસ આઠવલેએ આ બેઠક પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ત્રીજો મોરચો બનાવો કે ચોથો મોરચો બનાવો પરંતુ પીએમ મોદી નંબર 1 જ રહેશે. શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે આ માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં વધુ લોકો જોડાશે. મીનાક્ષી લેખીએ ભાજપ વતી કહ્યું હતું કે આ તે નેતાઓનું યુનિયન છે જેને લોકોએ નકારી કાઢ્યા છે. હાલમાં પ્રશાંત કિશોર અને શરદ પવારની બેઠક બાદ રાષ્ટ્ર મંચ આગળ વધે તે દિશામાં દરેકની ઉત્સુકતા છે.