માત્ર લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાથી નથી મળી જતા વૈવાહિક અધિકાર, મદ્રાસ હાઈકોર્ટનું નિવેદન
જસ્ટિસ એસ વૈદ્યનાથન અને આર વિજયકુમારની ડિવિઝન બેન્ચે મંગળવારે કોઈમ્બતુરના રહેવાસી આર કલઈસેલ્વીની અપીલને ફગાવી દેતાં આ ચુકાદો આપ્યો હતો.
મદ્રાસ હાઈકોર્ટે (Madras HighCourt) ચુકાદો આપ્યો હતો કે લાંબા સમય સુધી સહજીવન અથવા સાથે રહેવાથી અરજદારોને કોઈ પણ ફેમિલી કોર્ટ સમક્ષ વૈવાહિક વિવાદ ઉઠાવવાનો કાનૂની અધિકાર મળી જતો નથી, જ્યાં સુધી કાયદેસર રીતે તેમના લગ્ન ન થયા હોય. જસ્ટિસ એસ વૈદ્યનાથન અને જસ્ટિસ આર વિજયકુમારની ડિવિઝન બેન્ચે મંગળવારે કોઈમ્બતુરના રહેવાસી આર કલઈસેલ્વીની અપીલને ફગાવી દેતાં આ ચુકાદો આપ્યો હતો.
કલઈસેલ્વીએ કોઈમ્બતુરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા અધિનિયમ 1869ની કલમ 32 હેઠળ વૈવાહિક અધિકારો મેળવવા અરજી કરી હતી. ફેમિલી કોર્ટે 14 ફેબ્રુઆરી 2019ના રોજ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ હાલની અપીલ કરવામાં આવી હતી. કલઈસેલ્વીએ દાવો કર્યો હતો કે તે 2013થી જોસેફ બેબી સાથે રહેતી હતી, પરંતુ તેઓ પછીથી અલગ થઈ ગયા હતા.
ફેમિલી કોર્ટના જ્જના નિર્ણયને યથાવત રાખ્યો હતો
ન્યાયાધીશોએ અપીલ ફગાવી દેતા કહ્યું કે તેમને ફેમિલી કોર્ટના જજના નિર્ણયને યથાવત રાખવામાં કોઈ ખચકાટ નથી. બીજી તરફ અન્ય એક કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે સોમવારે તમિલનાડુ સરકાર દ્વારા પસાર કરાયેલ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. જેમાં શિક્ષણ અને રોજગારમાં સૌથી પછાત વર્ગો (MBCs) માટેના 20 ટકા આરક્ષણમાં વન્નિયાકુલા ક્ષત્રિય સમુદાયને 10.5 ટકા આંતરિક અનામત આપવામાં આવી હતી.
જસ્ટિસ એમ. દુરઈસ્વામી અને જસ્ટિસ કે. મુરલી શંકરે આદર્શ આચાર સંહિતા લાગુ થવાના કેટલાક કલાકો પહેલા પસાર થયેલા કાયદાની માન્યતાને પડકારનાર હાઈકોર્ટની મુખ્ય સીટની સાથે સાથે તેની મદુરાઈ બેંચમાં દાખલ કરાયેલી રિટ અરજીઓની સુનાવણીની મંજૂરી આપી હતી. ચૂંટણી બાદ ડીએમકેની આગેવાની હેઠળની વર્તમાન સરકારે પણ કોલેજોમાં એડમિશનમાં કાયદો લાગુ કર્યો હતો.
કાયદાને પડકારતા કેસોની એક મોટી બેચના જવાબમાં મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી કાઉન્ટર એફિડેવિટમાં સરકારે આ આરોપને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યુ હતું કે કાયદો લાવવા પાછળ રાજકીય હેતુ હતો અને કાયદો ઉતાવળમાં પસાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : જસ્ટિસ ચંદ્રચુડનું મોટું નિવેદન, જામીનના આદેશને જેલ સત્તાધીશો સુધી પહોચાડવામાં વિલંબ થવો એ ગંભીર સમસ્યા