લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ દેશના નવા CDS તરીકે નિયુક્ત થયા, આતંકવાદ વિરોધી કામગીરીનો લાંબો અનુભવ
નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે 40 વર્ષથી વધુની કારકિર્દીમાં અનેક કમાન્ડ સંભાળ્યા છે. તેમની પાસે જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં બળવાખોરી વિરોધી કામગીરીનો પણ બહોળો અનુભવ છે. તેઓ NSA અજીત ડોભાલના સૈન્ય સલાહકાર પણ રહી ચૂક્યા છે.
દેશને નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) મળ્યા છે. ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (સેવા નિવૃત્ત) ને આગામી CDS એટલે કે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અનિલ ચૌહાણ (Anil Chauhan) ભારત સરકારના સૈન્ય બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. તેઓ જોડાવાની તારીખથી આગામી આદેશ સુધી આ પદ પર ચાલુ રહેશે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે 40 વર્ષથી વધુની કારકિર્દીમાં અનેક કમાન્ડ સંભાળ્યા છે. તેમની પાસે જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં બળવાખોરી વિરોધી કામગીરીનો પણ બહોળો અનુભવ છે. તેઓ NSA અજીત ડોભાલના સૈન્ય સલાહકાર પણ રહી ચૂક્યા છે.
લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણ વર્ષ 2021 સુધી ભારતીય સેનામાં હતા. સેવામાં, તેઓ પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ રહી ચૂક્યા છે. તેમણે લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણેના સ્થાને 1 સપ્ટેમ્બર 2019ના રોજ આ પદ સંભાળ્યું હતું. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ જેવા એવોર્ડ મળ્યા છે. તેઓ ભારતીય સેનાના ડીજીએમઓ પણ રહી ચૂક્યા છે.
લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણનો જન્મ 18 મે 1961ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા અને ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. વર્ષ 1981માં તેઓ ભારતીય સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં ભરતી થયા હતા. મેજર જનરલના રેન્કના અધિકારી તરીકે, અનિલ ચૌહાણે ઉત્તરીય કમાન્ડમાં મહત્ત્વના બારામુલા સેક્ટરમાં પાયદળ વિભાગની કમાન સંભાળી હતી. આ પછી, તેઓ સપ્ટેમ્બર 2019 થી પૂર્વીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ બન્યા અને પછી મે 2021 માં આ મહત્વપૂર્ણ પદ પરથી નિવૃત્ત થયા.
સેનામાં ઘણા મેડલ પ્રાપ્ત થયા છે
લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ 31 મે 2021ના રોજ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા હતા. સેનામાંથી નિવૃત્ત થયા પછી પણ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક બાબતોમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું. લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણને સેનામાં તેમની વિશિષ્ટ સેવા બદલ પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ત્યારથી આ મહત્વની જગ્યા ખાલી પડી હતી. લગભગ 9 મહિનાથી ખાલી જગ્યા બાદ આ નિમણૂક કરવામાં આવી છે. અગાઉ આ પદ માટે જનરલ મનોજ મુકુંદ નરવણે અને અન્ય કેટલાક નામોની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે તમામ અટકળોનો અંત આવી ગયો છે. હવે આગળના આદેશો સુધી, લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ દેશના નવા સીડીએસ હશે.