લશ્કર એ તૈયબાનો ખુંખાર આતંકી ઈર્શાદ એન્કાઉન્ટરમાં ઠાર, બારામુલ્લામાં આતંકીઓ-સૈન્ય જવાનો વચ્ચે ગોળીબાર
બારામુલ્લાના બિનેર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ લશ્કર એ તૈયબાના આતંકવાદીને ઠાર માર્યો હતો.
બારામુલ્લાના (Baramulla ) બિનેર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં (encounter ) સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, કાશ્મીરમાં સુરક્ષાદળના હાથે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ બારામુલ્લાના ઈર્શાદ અહેમદ ભટ (Irshad Ahmed Bhat) તરીકે જમ્મુ અને કાશ્મીર પોલીસે કરી છે, જે મે 2022થી સક્રિય હતો અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર (Lashkar e Tayyaba) સાથે સંકળાયેલો હતો. તેની પાસેથી એક AK-47 રાઈફલ, 2 મેગેઝીન અને 30 ગોળીઓ મળી આવી હતી.
ગઈકાલે સવારે પણ એન્કાઉન્ટર થયું હતું
આ પહેલા બારામુલ્લામાં જ ગઈકાલ શનિવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન અને એક પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. ઓપરેશન દરમિયાન એક સ્નિફર ડોગનું મોત થયું હતું. એન્કાઉન્ટર સ્થળ પરથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
સેના, પોલીસ અને એસઓજીના જવાનોએ શનિવારે વહેલી સવારે બારામુલ્લા જિલ્લાના વાનીગામ બાલામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પર વિસ્તારને ઘેરી લીધો હતો અને સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં સેનાના બે જવાન અને એક પોલીસ જવાન ઘાયલ થયા હતા. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
#UDPATE | One terrorist killed in the Baramulla encounter. Incriminating materials including arms & ammunition recovered. Search going on. Further details shall follow: J&K Police
— ANI (@ANI) July 31, 2022
રહેણાંક વિસ્તાર હોવાના કારણે સુરક્ષા દળોએ સંયમ સાથે ઓપરેશન હાથ ધર્યું હતું. બારામુલ્લાના એસએસપી રઈસ મોહમ્મદ ભટના જણાવ્યા અનુસાર, શનિવારે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ બાકી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી એક AK-47 રાઈફલ, ત્રણ મેગેઝીન અને એક પાઉચ ઉપરાંત અન્ય હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
લશ્કરના બે આતંકવાદીઓની કરાઈ ધરપકડ
સોપોર પોલીસે લશ્કરના બે આતંકવાદીઓની પણ ધરપકડ કરી છે. જેમના નામ તારિક વાની અને ઈશફાક વાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે માહિતી આપી છે કે આ લોકો હડીપોરા રફિયાબાદ ચેકિંગ પોસ્ટ પરથી ચેકિંગ દરમિયાન ભાગી ગયા હતા. બંને પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝીન, 11 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પોલીસે બંનેની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે.