Weather Update: જાણો જુલાઇ માસમાં ગુજરાત સહિત દેશમાં કેવું રહેશે ચોમાસું, હવામાન વિભાગે કરી આ આગાહી
હવામાન વિભાગ(IMD)તરફથી જાહેર કરવામાં આવેલ જુલાઈ મહીનાના પૂર્વાનુમાનમાં જાણવા મળ્યું કે જુલાઈ મહિનામાં મધ્ય ભારતમાં ગુજરાતને બાદ કરતાં તમામ રાજ્યોમાં ખૂબ સારો વરસાદ થશે.
નૈઋત્યના ચોમાસાને ગુજરાતમાં આગમન થયાને એક મહિનો પૂર્ણ થયો છે અને હવે ચોમાસા(Monsoon)ની સિઝન માટે મહત્વનો ગણાતા જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને ભારતીય હવામાન વિભાગે(IMD)જુલાઈ મહિનામાં ભારતભરમાં નૈઋત્યના ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગે જાહેર કરેલ આગાહી ગુજરાત માટે ચિંતાજનક છે.
મધ્ય ભારતમાં ગુજરાતને બાદ કરતાં તમામ રાજ્યોમાં ખૂબ સારો વરસાદ
હવામાન વિભાગ(IMD)તરફથી જાહેર કરવામાં આવેલ જુલાઈ મહીનાના પૂર્વાનુમાનમાં જાણવા મળ્યું કે જુલાઈ મહિનામાં મધ્ય ભારતમાં ગુજરાતને બાદ કરતાં તમામ રાજ્યોમાં ખૂબ સારો વરસાદ થશે.જે સામાન્ય કરતા વધારે હશે. ગુજરાતમાં જુલાઈ મહિના દરમ્યાન સામાન્ય તેમજ સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે
જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા ઓછો વરસાદ વરસશે. મહત્વનું છે કે જૂન મહીનામાં પણ સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો છે જેનાથી રાજ્યમાં સૌથી વધુ વરસાદની ઘટ ધરાવતા જિલ્લા સૌરાષ્ટ્રમાં જ છે. અને આ જ પ્રકારની સ્થિતિ આગામી 1 મહિના દરમ્યાન પણ રહેવાનું અનુમાન ભારતીય હવામાન વિભાગે કર્યું છે જે ચિંતા નો વિષય છે.
મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સ અંતર્ગત કામ કરતા ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા પેસિફિક સમુદ્ર અને ભારતીય સમુદ્રની હાલની સ્થિતિ પર રિસર્ચ કરીને જુલાઈ મહિનામાં ભારતમાં નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે.જેના અંતર્ગત નૈઋત્યના ચોમાસાથી જુલાઈ મહિનામાં ભારતમાં 94 થી 106% જેટલો વરસાદ વરસવાની શકયતા છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે
હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા કરાયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જુલાઈ મહિનામાં ભારતમાં સારો વરસાદ વરસે તે માટે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.ભારતમાં નૈઋત્યના ચોમાસાને પેસિફિક સમુદ્રની સ્થિતિ તેમજ ENSO એટલે કે એલ-નિનો સાઉધર્ન ઓસિલેશન અસર કરતી હોય છે જેને કારણે હવામાન વિભાગના વૈજ્ઞાનિકો આ તમામ કન્ડિશનને મોનીટર કરતા હોય છે.
ચાલુ વર્ષે પેસિફિક સમુદ્ર એટલે કે પ્રશાંત મહાસાગરમાં એલ-નિનો સાઉધર્ન ઓસિલેશન સ્થિતિ યથાવત રહેવાની છે જેના કારણે ભારતીય દરિયામાં ઇન્ડિયન ઓસીયન ડિપોલ એટલે કે IOD નું નકારાત્મક વલણ જોવા મળશે જેનાથી ભારતભરમાં વરસાદ સારી માત્રામાં વરસશે.