વાયુ પ્રદૂષણ મામલે કેજરીવાલ સરકારની લાલ આંખ, પીયુસી સર્ટીફિકેટ વિના વાહન ચલાવનારને થશે 10 હજારનો દંડ
વાયુ પ્રદૂષણ મામલે દિલ્હી સરકાર નવો નિયમ લાવવા જઈ રહી છે, હવેથી પીયુસી સર્ટિફિકેટ ન ધરાવતા રોડ પર ચાલતા વાહનોના માલિકોને કેજરીવાલ સરકાર 10 હજારનો દંડ ફટકારશે.
દિલ્હીમાં (Delhi) વાહનોથી ફેલાતા પ્રદૂષણને રોકવા મામલે કેજરીવાલ (Kejrival) સરકાર સખ્ત બની છે. હવે પોલ્યુશન સર્ટીફિકેટ (Pollution Certificate) ન હોય તેવા વાહનચાલકો સામે કેજરીવાલ સરકાર દંડનીય કાર્યવાહી કરવા જઈ રહી છે. જે કાર અને બાઈક માલિકો પાસે પોલ્યુશન સર્ટિફિકેટ (Pollution Certificate ) નહીં હોય તેવા વાહનચાલકોના ઘરે 10 હજારનો મેમો પહોંચી જશે જેમા જેલની સજાની પણ જોગવાઈ રખાઈ છે. દિલ્હી સરકારે પોલ્યુશન સર્ટિફિકેટ ન હોય તેવા લોકોને નોટિસ મોકલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમાચાર એજન્સી અનુસાર દિલ્હીમાં હાલ 17 લાખ વાહનો એવા છે જેનુ પોલ્યુશન સર્ટિફિકેટ નથી નીકળ્યુ.
6 મહિનાની જેલ અથવા 10 હજારના દંડની જોગવાઈ
રાધાનીમાં વાહનોથી ફેલાતા પ્રદૂષણને ઓછુ કરવા માટે દિલ્હી સરકારે મોટુ પગલુ લેવા જઈ રહી છે. દિલ્હી સરકારે એવા વાહન માલિકો પર કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે, જેમની પાસે વાહનોનુ પોલ્યુશન સર્ટિફિકેટ નથી. આવા લોકોને 6 મહિનાની જેલ અથવા 10 હજારનો દંડ અથવા તો બંને થઈ શકે છે.
PUC ન ધરાવતા વાહન માલિકોને મોકલાઈ નોટિસ
દિલ્હી સરકારે એવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધુ છે જેમની પાસે પોલ્યુશન સર્ટિફિકેટ નથી. નોટિસમાં વાહન માલિકોને આ સર્ટિફિકેટ બનાવવા અથવા દંડ ભરવા માટે તૈયાર રહેવાની તાકીદ કરવામાં આવી છે. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ દિલ્હીમાં 17 લાખ એવા વાહનો દોડી રહ્યા છે જેમનુ પોલ્યુશન સર્ટિફિકેટ નથી. જેમા 13 લાખ ટુવ્હીલર વાહનો અને 3 લાખ કાર સામેલ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 14 લાખ વાહન માલિકોને SMS કરી જણાવવામાં આવ્યુ છે કે તેમના વાહનોનું પોલ્યુશન સર્ટિફિકેટ બનાવી લે અથવા તો ભારે દંડ ભરે
દંડમાં ક્યા વાહનોને અપાઈ છૂટ ?
અધિકારીઓ આ અંગે જણાવે છે કે દિલ્હીમાં 2-3 મહિના બાદ પ્રદૂષણ શરૂ થઈ જશે. ત્યારે અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે વાહનોથી થતુ પ્રદૂષણ ઘટાડી શકાય. જેને પગલે વાહનધારકોને પોલ્યુશન સર્ટિફિકેટ બનાવવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે, અધિકારીએ જણાવ્યુ છે કે આ નવા નિયમમાં એવા વાહનોને છૂટ આપવાની કાયદાકીય જોગવાઈ પણ છે જે વાહનો રોડ પર નથી ચાલતા. અધિકારીએ જણાવ્યુ કે હાલમાં એક નિવૃત આર્મી કર્નલે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને પત્ર લખી જણાવ્યુ છે કે તેમનો પુત્ર વિદેશમાં છે અને વાહન ગેરેજમાં પડ્યુ છે. અધિકારીના જણાવ્યા મુજબ જે વાહન રોડ પર નથી ચાલતા તેમને પોલ્યુશન સર્ટિફિકેટની જરૂર નથી. પરંતુ જો પોલ્યુશન સર્ટિફિકેટ વગર વાહનો રોડ પર ચલાવતા પકડાશે તો તેમને દંડ કરવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જો PUC સર્ટિફિકેટ વિના વાહનચાલકો જણાશે તો વાહન માલિકને 6 મહિનાની સજા અથવા 10 હજાર રૂપિયાનો દંડ અથવા તો બંને થઈ શકે છે.
સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989 અનુસાર તમામ ટ્વવ્હીલર વાહનોને દર વર્ષે PUC સર્ટિફિકેટ બનાવવાનુ હોય છે. જ્યારે ફોર વ્હીલર વાહનોને BS-IVમ માટે એક વર્ષની મર્યાદા હોય છે. જ્યારે અન્ય વાહનો માટે તેની મર્યાદા ત્રણ મહિનાની હોય છે. PUC સર્ટિફિકેટને રિયલ ટાઈમ બનાવવામાં આવ્યુ છે અને વાહન રજિસ્ટ્રેશન ડેટાબેઝ સાથે ઈન્ટીગ્રેટેડ કરવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત વર્ષે 60 લાખથી વધુ PUC સર્ટીફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. પીયુસી સર્ટીકેટ વાહનોમાં કાર્બન મોનોઓક્સાઈડ (CO) અને કાર્કોન ડાયોક્સાઈડ (CO2)) જેવા પ્રદૂષણ ફેલાવતા વાયુની તપાસ કરે છે અને સર્ટીફીકેટ ઈશ્યુ કરે છે.