Karnatak : પોસ્ટમોર્ટમ કરવા જતાં 27 વર્ષનો મૃત યુવાન થયો જીવિત
Karnatak : કર્ણાટકમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક યુવકને હોસ્પિટલ દ્વારા પહેલા મૃત જાહેર કરવામાં આવ્યો, પરંતુ તેનું પોસ્ટમોર્ટમ કરવા જતાં તે જીવિત હોવાની જાણ થઈ હતી.
Karnatak : ચમત્કાર કોને કહેવાય તે કર્ણાટકની ઘટના પરથી જાણી શકાય છે. કર્ણાટકમાં મૃત માનવામાં આવેલ એક યુવાન પોસ્ટમોર્ટમ સમયે જીવંત મળી આવ્યો હતી. એક 27 વર્ષનો યુવાન અકસ્માતનો ભોગ બન્યો હતો. બેલાગવીની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.
સારવાર દરમિયાન બ્રેન ડેડ જાહેર કરાયો બેલાગવીની ખાનગી હોસ્પિટલમાં બે દિવસ ચાલેલી સારવાર બાદ હોસ્પિટલ દ્વારા આ યુવકને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો અને તેના પરિવારને મૃતદેહને ઘરે લઈ જવા કહ્યું. મૃતક યુવાનની અંતિમવિધિ પૂર્વે મૃતદેહને ફરજિયાત પોસ્ટમોર્ટમ માટે બાગલકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રૂમમાં ટેબલ પર જીવિત થયો યુવાન પરિવારે યુવકને મૃત માનીને તેના અંતિમ સંસ્કારની તમામ તૈયારીઑ કરી લીધી હતી. અંતિમવિધિમાં ભાગ લેવા સેંકડો લોકો મૃતદેહ મેળવવા હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા હતા, પણ ભગવાનને જાણે કે આ મંજૂર નહોતું. પોસ્ટમોર્ટમ રૂમમાં ટેબલ પર જ્યારે યુવાનનો મૃતદેહ રાખવામાં આવ્યો ત્યારે હોસ્પિટલના કર્મચારીએ તપાસ કરતાં જાણ થઈ કે તેનું હૃદય અને ધબકારા ફરી શરૂ થયા છે. આ યુવકને તાત્કાલિક વેન્ટિલેટર પર ચડાવી ખાનગી હોસ્પિટલમાં ફરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.