કપિલ સિબ્બલે ગાંધી પરિવારને નેતૃત્વ છોડવાની આપી સલાહ, કહ્યું- હવે સમય આવી ગયો છે કે ઘરના લોકોને બદલે દરેકની હોય કોંગ્રેસ
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પક્ષનો આંતરિક વિખવાદ પણ સામે આવવા લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે ગાંધી પરિવારે નેતૃત્વ છોડીને કોઈ અન્ય નેતાને તક આપવી જોઈએ. સિબ્બલના આ નિવેદન બાદ કોંગ્રેસના ઘણા નેતાઓએ તેમની સામે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલના (Kapil Sibal) નિવેદનથી ફરી એકવાર કોંગ્રેસની (Congress) અંદરનો વિખવાદ સામે આવ્યો છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવારે પક્ષનું નેતૃત્વ છોડીને અન્ય કોઈ નેતાને તક આપવી જોઈએ. કપિલ સિબ્બલની આ ટિપ્પણી બાદ ગાંધી પરિવારના નેતૃત્વમાં માનનારા નેતાઓએ તેમના પર આકરા પ્રહારો કર્યા અને તેમના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની ભાષા બોલવાનો આરોપ લગાવ્યો. પાર્ટીના વરિષ્ઠ નેતા સિબ્બલે અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ગાંધી પરિવારે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વથી અલગ થઈને કોઈ બીજાને તક આપવી જોઈએ.
કપિલ સિબ્બલે કહ્યું કે તેમને ‘ઘરના લોકોની કોંગ્રેસ’ નહીં, પરંતુ ‘બધા લોકોની કોંગ્રેસ’ જોઈએ છે. કોંગ્રેસના ‘G23’ જૂથના સભ્ય સિબ્બલે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકના બે દિવસ બાદ આ ટિપ્પણી કરી હતી. CWCની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમણે પદ પર ચાલુ યથાવત રહેવુ જોઈએ અને પક્ષને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.
મણિકમ ટાગોરે કપિલ સિબ્બલ પર ટિપ્પણી કરી
લોકસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક મણિકમ ટાગોરે સિબ્બલની ટિપ્પણી પર કટાક્ષ કર્યો હતો, તેમણે ટ્વીટ કર્યું, “આરએસએસ અને ભાજપ કેમ ઈચ્છે છે કે, નેહરુ-ગાંધીના નેતૃત્વથી અલગ થાય ? કારણ કે ગાંધી પરિવારના નેતૃત્વ વિના કોંગ્રેસ જનતા પાર્ટી બની જશે. આ રીતે કોંગ્રેસનો નાશ કરવો સરળ બનશે અને ફરીથી આઈડિયા ઓફ ઈન્ડિયાનો નાશ કરવો આસાન થઈ જશે. કપિલ સિબ્બલ આ વાત જાણે છે, પરંતુ તેઓ આરએસએસ અને ભાજપની ભાષા કેમ બોલી રહ્યા છે?
કોંગ્રેસના પ્રવક્તાએ સિબ્બલ પર સાધ્યુ નિશાન
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સિબ્બલ પર પ્રહાર કરતા કહ્યું કે, આવા નેતાઓએ પાર્ટીના વર્તમાન નેતૃત્વ વિરુદ્ધ રોજેરોજ નિવેદનો કરવાને બદલે અધ્યક્ષ પદ માટે લડવું જોઈએ. ખેરાએ કહ્યું, જે લોકો કોંગ્રેસનું નેતૃત્વ કરવા માંગે છે તેઓ વર્તમાન નેતૃત્વ સામે દરરોજ બોલવાને બદલે પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.”
ગાંધી પરિવાર કોંગ્રેસનો પ્રાણ – રાગિણી નાયક
કોંગ્રેસના પ્રવક્તા રાગિણી નાયકે કહ્યું, “ગાંધી પરિવાર કોંગ્રેસનું પ્રાણ છે. ગાંધી પરિવારે પોતાના સંઘર્ષ અને લોહી અને પરસેવાથી અને નૈતિક મૂલ્યો વડે આ દેશનું નિર્માણ કર્યું છે. દરેક કોંગ્રેસ કાર્યકર્તા ગાંધી પરિવારના નેતૃત્વમાં પોતાને મજબૂત માને છે.
સિબ્બલે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
સિબ્બલે ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી પ્રમુખ ના હોવા છતા પણ પ્રમુખ છે. તેઓ જ તમામ નિર્ણયો લે છે. સીડબ્લ્યુસીનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે ગાંધી પરિવારે સ્વૈચ્છિક રીતે નેતૃત્વથી દૂર જવું જોઈએ, કારણ કે તેમના દ્વારા નિમાયેલા લોકો તેમને ક્યારેય નહીં કહે કે, તેમણે પાર્ટીની લગામ હાથમાંથી છોડી દેવી જોઈએ. સિબ્બલે કહ્યું, “હું ‘બધાની કોંગ્રેસ’ માટે મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ.”
આ પણ વાંચોઃ
The Kashmir Files: પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવાનું આહ્વાન, મહારાષ્ટ્ર સરકારને લાગે છે કે તેનાથી વધશે તણાવ
આ પણ વાંચોઃ