Jammu Kashmir: અલ્પસંખ્યક લોકોમાં ભયનો માહોલ, રાજૌરી અને પુંછમાં CRPFની 15 ટીમ તૈનાત કરવામાં આવી
સીઆરપીએફના મહાનિરીક્ષક અને અન્ય ટોચના અધિકારી જવાનોની તૈનાતી પર નજર રાખી રહ્યા છે. રાજૌરી અને પુંછમાં અલ્પસંખ્યક વિસ્તારની સુરક્ષા માટે આ પગલુ લેવામાં આવ્યું છે. ડાંગરી ગામમાં સીઆરપીએફની એક કંપની તૈનાત કરવામાં આવી છે.
જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સરહદી જિલ્લાઓ રાજૌરી અને પુંછમાં અલ્પસંખ્યકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની 15 કંપનીઓ એટલે કે 1500 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજૌરીમાં બે આતંકવાદી હુમલામાં બે બાળકો સહિત અલ્પસંખ્યક સમુદાયના 6 લોકોના મોત થયા હતા અને 12 અન્ય લોકો ઘાયલ થઈ ગયા હતા.
સીઆરપીએફના મહાનિરીક્ષક અને અન્ય ટોચના અધિકારી જવાનોની તૈનાતી પર નજર રાખી રહ્યા છે. રાજૌરી અને પુંછમાં અલ્પસંખ્યક વિસ્તારની સુરક્ષા માટે આ પગલુ લેવામાં આવ્યું છે. ડાંગરી ગામમાં સીઆરપીએફની એક કંપની તૈનાત કરવામાં આવી છે.
રાજૌરી હુમલા બાદ અલ્પસંખ્યક સમુદાયના લોકો સરહદી જિલ્લાઓમાં પોતાના વિસ્તારની સુરક્ષાને લઈ ખુબ જ ચિંતિત છે. તેને જોતા બે સરહદી જિલ્લાઓમાં સુરક્ષાને મજબૂત કરવા માટે 2000 સૈનિકોવાળી 20થી વધારે કંપનીઓને તૈનાત કરવામાં આવશે. 15 કંપનીઓ સરહદી જિલ્લાઓમાં પહોંચી ગઈ છે, જ્યારે બાકી આગામી થોડા દિવસમાં પહોંચી જશે.
14 કલાકમાં 2 આતંકી હુમલા
2 જાન્યુઆરીની સવારે ડાંગરી ગામમાં એક ઘરની નજીક આઈઈડી વિસ્ફોટમાં બે બાળકોના મોત થઈ ગયા હતા અને 6 અન્ય લોકો ઘાયલ થઈ ગયા હતા. આ પહેલા 1 જાન્યુઆરીની સાંજે રાજૌરી જિલ્લાના એક વિસ્તારમાં અલ્પસંખ્યક સમુદાયના 3 ઘર પર આતંકવાદીઓએ ગોળીબારી કરી હતી, જેમાં 4 નાગરિકોના મોત થઈ ગયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા. આ બંને હુમલા 14 કલાકની અંદર થયા હતા.
હુમલા પર ગ્રામ સરપંચ દીપક કુમારે કહ્યું હતું કે આ પોલીસ અને સુરક્ષા એજન્સી તરફથી સુરક્ષામાં ગંભીર ચૂક છે. અલ્પસંખ્યક સમુદાયના લોકો સુરક્ષિત અનુભવતા નથી. તંત્રએ કડક પગલા ઉઠાવવા જોઈએ. IED એક બેગની નીચે રાખવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો મુજબ હુમલામાં બે આતંકવાદી સામેલ હતા. સામાન્ય રીતે શાંત રહેતા જમ્મૂ વિસ્તારમાં ઘણા વર્ષો બાદ આ પ્રકારની આ પ્રથમ ઘટના છે.
જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ રહ્યું ભાજપ: મહેબૂબા મુફ્તી
આ હુમલાની વિરૂદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યુ. તેની વચ્ચે પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિને કાબૂ કરવામાં નિષ્ફળ રહી છે અને તે સમુદાયોને વહેંચવાના પોતાના એજન્ડાને આગળ વધારવા માટે સ્થાનિક લોકોને હથિયારથી સજ્જ કરી રહી છે. લોકોને હથિયારોથી સજ્જ કરવાથી ડર અને નફરતનો માહોલ ઉભો કરવાનો ભાજપનો એજન્ડા જ પૂરો થશે. આ એક સમુદાયને બીજા સમુદાય વિરૂદ્ધ ઉભો કરી દેશે.