જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષાદળોનો સપાટો, 4 આતંકવાદી ઠાર કર્યા, એન્કાઉન્ટર હજુ પણ ચાલુ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ હજુ ચાલુ છે. અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી મળેલી માહિતી અનુસાર 4 આતંકવાદીઓને ઠાર કરાયા છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. હજી સુધી માર્યા ગયેલા કોઈ આતંકવાદીની ઓળખ થઈ નથી. કાશ્મીર ઝોન પોલીસે સેરિગુફવારાના શાલગુલ જંગલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટર અંગે માહિતી આપી છે. સીઆરપીએફના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અનંતનાગમાં એન્કાઉન્ટર સ્થળે હજી વધુ આતંકીઓ ઘેરાયેલા હોઈ શકે છે.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે અનંતનાગના સેરિગુફવાડામાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા પછી જમ્મુ-કાશ્મીર પોલીસના રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ની ટુકડીઓએ સંયુક્ત ઘેરો અને તલાશી લીધી હતી. અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે અભિયાન શરૂ છે.
પ્રવક્તાએ જણાવ્યું છે કે જ્યારે તમામ એક્ઝિટ પોઇન્ટ સીલ કર્યા બાદ સુરક્ષા દળો કોઈ ચોક્કસ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે ત્યાં છુપાયેલા આતંકીઓએ સ્વચાલિત હથિયારોથી આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી અને એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હતું. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા આસપાસના વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળને ગોઠવી દેવામાં આવ્યા હતા.
Four unidentified terrorists killed in an ongoing encounter in Anantnag: Jammu and Kashmir Police
— ANI (@ANI) February 24, 2021
આ પહેલા 19 ફેબ્રુઆરીએ શ્રીનગરમાં બારગુલ્લા બાગમાં થયેલા આતંકી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. તે જ દિવસે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 19 મી તારીખે જ બડગામમાં અન્ય એક એન્કાઉન્ટરમાં એક યુવાન સૈનિક શહીદ થયા હતા. એક સૈનિક ઘાયલ થયા હોવાના અહેવાલ આવ્યા હતા.