Jammu-Kashmir : શ્રીનગરના ચાનપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું
Jammu-Kashmir : જમ્મુ -કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વચ્ચે સુરક્ષાદળોએ આતંકવાદીઓને ખતમ કરવાનું શરૂ કરી દીધું છે. આ ઘટનાક્રમમાં ફરી એક વખત એન્કાઉન્ટર શરૂ થયું છે. આ વખતે આ એન્કાઉન્ટર શ્રીનગરના ચાનપોરામાં થઈ રહ્યું છે. એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર કરવામાં આવ્યો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જ્યારે સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર થયું. બંને તરફથી ફાયરિંગ થયું અને સુરક્ષા દળો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.
પૂંછમાં IED મળી આવ્યો સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં સુરનકોટના રત્નપીર વિસ્તારમાં એક IED રિકવર કર્યો છે. પૂંછના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને મારવા માટે સેનાનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા 11 દિવસથી પૂંછના જંગલોમાં આતંક સામે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્રાસવાદીઓ ગાઢ જંગલમાં છુપાયા છે. સૈનિકોએ સમગ્ર જંગલને ઘેરી લીધું છે.
આકાશમાંથી જમીન પર આતંકવાદીઓ પર નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી ભારતીય સેનાના 9 જવાનો શહીદ થયા છે પરંતુ આજ સુધી આતંકવાદીઓનો કોઈ પત્તો મળ્યો નથી. આજે સવારથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ આતંકીઓ તરફથી કોઈ ગોળીબાર થયો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે અંતિમ હુમલો આતંકવાદી પર કરવામાં આવશે. આ ઘટનાક્રમમાં હવે સેનાએ રત્નાપીર વિસ્તારમાંથી આઈડી રિકવર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોએ તેને નિષ્ક્રિય કરી દીધો છે.
ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાતને જોતા ખીણમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. શ્રીનગર શહેરના તમામ પ્રવેશવાના અને બહાર નીકળવાના સ્થળો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ દક્ષિણ કાશ્મીરમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઓગસ્ટ 2019 માં ઘાટીમાંથી કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહની જમ્મુ -કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે. મીડિયા અહેવાલો અનુસાર ગૃહમંત્રીની મુલાકાત પહેલા ઘાટીમાં વાતાવરણને સામાન્ય બનાવવાનું દબાણ છે. ટાર્ગેટ કિલીંગ બાદ તણાવ દૂર કરવા માટે, ટાર્ગેટ કિલિંગને જલદીથી કચડી નાખવા અને આને અંજામ આપનારા તત્વો સામે મોટી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે સમિતિની રચના, 15 દિવસમાં અહેવાલ રજૂ કરશે
આ પણ વાંચો : ગિરનાર જંગલના પ્રતિબંધિત વિસ્તારમાંથી ચંદનના 6 વૃક્ષની ચોરી, તસ્કરોએ થડમાંથી વૃક્ષો કાપ્યા