જરૂરી નથી દરેક કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ જ કરે, Agnipath Case પર જસ્ટિસ ચંદ્રચૂડની ટકોર
સુપ્રીમ કોર્ટે (Suprim Court) અગ્નિપથ યોજનાને લગતા દેશભરના પેન્ડિંગ કેસોને દિલ્હી હાઈકોર્ટમાં એક સાથે સુનાવણી માટે ટ્રાન્સફર કરી દીધા છે. અગ્નિપથ યોજના સામેની તમામ અરજીઓ પર માત્ર દિલ્હી હાઈકોર્ટ જ સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટ (Suprim Court) માં મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા જૂનમાં લાવવામાં આવેલી અગ્નિપથ યોજના (Agnipath Scheme) ને લઈને કેસની સુનાવણી કરવામાં આવી. જેમા સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અગ્નિપથ યોજના વિરુદ્ધ અનેક હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમાંથી એક દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) પણ છે. મહેતાએ કહ્યું કે હું વિનંતી કરું છું કે તમામ અરજીઓની સુનાવણી દિલ્હી અથવા અન્ય હાઈકોર્ટમાં એકસાથે થવી જોઈએ. તેના પર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે તમે ટ્રાન્સફર પિટિશન દાખલ કરો. અમે તમામ અરજીઓને હાઈકોર્ટમાં સુનાવણી માટે મોકલી આપશું. અરજદાર એમ.એલ.શર્માએ કહ્યું કે, કોર્ટ અહીં જ અમને સાંભળી લે.
સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે જે લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમને સાંભળ્યા બાદ જ કેસ ટ્રાન્સફર કરીશું. હવે સુપ્રીમ કોર્ટ અગ્નિપથ યોજનાને સંબંધિત દેશભરના તમામ પેન્ડિંગ કેસોને એકસાથે સુનાવણી માટે દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરશે. આના પર, એક અરજદાર વતી એડવોકેટ કુમુદે, શુક્રવાર સુધીમાં કેસ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. દેશમાં દિલ્હી, કેરળ, પટના, પંજાબ-હરિયાણા, ઉત્તરાખંડ, કોચીના ટ્રિબ્યુનલમાં અગ્નિપથ યોજના સામેના કેસ પેન્ડિંગ છે.
દિલ્હી હાઈકોર્ટમાં થશે તમામ કેસની સુનાવણી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં પહેલાથી જ અરજીઓ પેન્ડિંગ છે. આ સ્થિતિમાં તમામ અરજીઓ પર ત્યાં સુનાવણી થશે. કોર્ટે તેની પાસે પેન્ડિંગ પડેલી ત્રણ અરજીઓને પણ સુનાવણી માટે દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી છે. અગ્નિપથ યોજના સામેની તમામ અરજીઓ પર માત્ર દિલ્હી હાઈકોર્ટ જ સુનાવણી કરશે.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે આ અરજી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં પહેલા સુનાવણી થવા દો, જેથી અમારી પાસે હાઈકોર્ટનો નિર્ણય પણ રહેશે. જસ્ટિસે કહ્યું કે તમે પિટિશનને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી શકો છો અથવા હાઈકોર્ટમાં નવી પિટિશન દાખલ કરી શકો છો. જેના પર અરજદાર શેખાવતે કહ્યું કે વિવિધ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ સોલિસિટર જનરલે કહ્યું કે અત્યાર સુધી કોઈ હાઈકોર્ટે આદેશ આપ્યો નથી. તેના પર જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે જરૂરી નથી કે દરેક કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ જ કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેરળ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણા, પટના અને ઉત્તરાખંડમાં પણ અરજીઓ છે, આથી એ નિર્દેશ આપવો યોગ્ય રહેશે કે આ આદેશની નકલ દરેક હાઈકોર્ટમાં મુકવામાં આવે. હાઈકોર્ટ અરજદારોને તેમની અરજીઓને દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપશે અથવા હાઈકોર્ટ અરજીઓને પેન્ડિંગ રાખશે અને અરજીકર્તાને દિલ્હી હાઈકોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવાની અને આ પ્રકારની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાની પણ સ્વતંત્રતા રહેશે.