“સારુ થયુ તલાક થઈ ગયા, અમે કોઈના ગુલામ નથી”, અખિલેશ યાદવને ઓપી રાજભરનો જવાબ
ઓપી રાજભરે કહ્યું કે અખિલેશ યાદવ ચમચાઓ અને સલાહકારોથી ઘેરાયેલા છે. સપા સાથે છૂટાછેડાનો સ્વીકાર કરતા ઓપી રાજભરે (OP Rajbhar) કહ્યું કે તેઓ કોઈના ગુલામ નથી.
સમાજવાદી પાર્ટી તરફથી જાહેર કરાયેલા પત્ર બાદ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના વડા ઓમ પ્રકાશ રાજભરે અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો છે. ઓપી રાજભર (OP Rajbhar) કહ્યું કે સારું થયું કે પહેલેથી જ છૂટાછેડા થઈ ગયા. ઓપી રાજભરે કહ્યું કે અખિલેશ યાદવ (Akhilesh Yadav) ચમચાઓ અને સલાહકારોથી ઘેરાયેલા છે. સપાના પત્રનો જવાબ આપતા ઓપી રાજભરે કહ્યું કે તેઓ કોઈના ગુલામ નથી. સાથે જ તેમણે કહ્યું કે બસપા તેમની આગામી મંઝિલ હશે. તેઓ ટૂંક સમયમાં જ નવી રણનીતિ જાહેર કરશે. ઓપી રાજભરે કહ્યું કે તેમણે હરહંમેશ CM યોગીની પ્રશંસા કરી છે.
ઓપી રાજભરે કટાક્ષભર્યા સૂરમાં કહ્યું કે તેઓ અખિલેશ યાદવે આપેલા છૂટાછેડાને આવકારે છે. રાજભરે કહ્યું કે તેમને છૂટાછેડા કબૂલ છે. ઓપી રાજભરની આ પ્રતિક્રિયા સમાજવાદી પાર્ટી તરફથી પત્ર જાહેર થયા બાદ આવી છે. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે પણ ઓપી રાજભરે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે આઝમગઢમાં તેમણે સપાને અનેક વિકલ્પો આપ્યા હતા. તેઓ સૌથી વધુ પછાત અને સૌથી વધુ અનુસૂચિત જાતિની ભાગીદારી લડતા રહ્યા, પરંતુ અખિલેશને આ વાત ગમી નહીં.
ઓપી રાજભરે સ્વીકાર્યા સપાના છૂટાછેડા
ઓપી રાજભરે કહ્યું કે સપાએ આજે તેમને છૂટાછેડા આપી દીધા છે, જેને તે સ્વીકારે છે. તેણે પોતાનું આગામી પગલું બસપાને ગણાવ્યુ. રાજભરે કહ્યું કે જ્યારે પણ તેઓ CM યોગી આદિત્યનાથને મળે છે તો તે સપા માટે ખરાબ હોય છે, પરંતુ અખિલેશ યાદવ CMને મળે છે તો તે સારું હોય છે. ઓપી રાજભરે કહ્યું કે 2024 સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે કહ્યું કે અમે અનુસૂચિત જાતુ અને પછાત માટે લડીએ છીએ અને આગળ પણ લડતા રહીશું.
Samajwadi Party issues letters to Pragatisheel Samajwadi party chief Shivpal Singh Yadav and SBSP chief OP Rajbhar stating “…You are free to go anywhere you feel you are getting more respect.” pic.twitter.com/BR5Igvfp6N
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 23, 2022
બસપા હશે આગામી મુકામ: રાજભર
આપને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીએ એક પત્ર જાહેર કરી ઓપી રાજભર અને કાકા શિવપાલ યાદવને ભારે ઠપકો આપ્યો હતો. ઓમપ્રકાશ રાજભરને સંબોધીને લખેલા પત્રમાં પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે ‘જો તમને લાગે છે કે તમને બીજે ક્યાંક વધુ સન્માન મળશે તો ત્યાં જવા માટે તમે સ્વતંત્ર છો’. આ પત્ર પર હવે ઓપી રાજભરે અખિલેશ યાદવને જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે સપામાં રહેશે નહીં અને બસપા તેમનું આગામી મુકામ હશે.