ISROએ નવો રેકોર્ડ બનાવ્યો, મિશન ‘ગગનયાન’ માટે પેરાશૂટનું સફળ પરીક્ષણ થયું
ઈસરોએ કહ્યું કે ત્રણ મુખ્ય પેરાશૂટમાંથી બે અવકાશયાત્રીઓને લેન્ડ કરવા માટે પૂરતા છે પરંતુ એક પેરાશૂટ વધારાનું છે. મુખ્ય પેરાશૂટ ન ખુલવા જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ભારતના પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ રોકેટના પ્રક્ષેપણ બાદ વધુ એક સફળતા હાંસલ કરી છે. એજન્સીએ વધુ એક સફળ પરીક્ષણ હાથ ધર્યું છે, જે દેશના ડ્રીમ પ્રોજેક્ટ, ગગનયાન પ્રોજેક્ટને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હોવાનું કહેવાય છે. માનવ અવકાશ ઉડાન ક્ષમતા દર્શાવવા માટે ISRO દ્વારા આ પ્રથમ પ્રોજેક્ટ છે. ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં બબીના ફીલ્ડ ફાયર રેન્જ (BFFR) ખાતે ઈન્ટીગ્રેટેડ મેઈન પેરાશૂટ એરડ્રોપ ટેસ્ટ (IMAT)નું આયોજન કર્યું છે.
ઈસરોએ કહ્યુ કે આઈએમએટી દેશની મહત્વકાંક્ષી ગગનયાન પરિયોજનાને સાકાર કરવાની દિશમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે ગગનયાનની ગતિ ઓછી કરવાની પ્રણાલીમાં ત્રણ મુખ્ય પેરાશૂટનો સમાવેશ થાય છે, જે પ્રમાણમાં નાના ACS, પાઈલોટ અને ડ્રોગ પેરાશૂટ સિવાય છે, જેથી લેન્ડિંગ દરમિયાન ક્રૂ મોડ્યુલની ઝડપને સુરક્ષિત સ્તરે ઘટાડી શકાય.
એક પેરાશૂટ વધારાનું રાખવામાં આવ્યું છે – ISRO
ઈસરોએ કહ્યું કે ત્રણ મુખ્ય પેરાશૂટમાંથી બે અવકાશયાત્રીઓને લેન્ડ કરવા માટે પૂરતા છે, પરંતુ એક પેરાશૂટ વધારાનું છે. ઈસરોએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્ય પેરાશૂટ ન ખુલે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં ક્રૂ મોડ્યુલ માસની સમકક્ષ પાંચ ટનના ડમી દ્રવ્યમાનને 2.5 કિમીની ઉંચાઈ પર લઈ જવામાં આવ્યો હતો અને ભારતીય વાયુસેનાના IL-76 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને છોડવામાં આવ્યો હતો.
સંપૂર્ણ પરીક્ષણ 2-3 મિનિટ ચાલ્યું
પ્રારંભિક આંચકો ઘટાડવા માટે મુખ્ય પેરાશૂટનું કદ શરૂઆતમાં નાના વિસ્તાર સુધી મર્યાદિત હતું. ISROએ કહ્યું, ‘સંપૂર્ણપણે તૈનાત મુખ્ય પેરાશૂટે પેલોડની ઝડપને સુરક્ષિત લેન્ડિંગ સ્પીડમાં ઘટાડી દીધી. આ સમગ્ર ક્રમ લગભગ 2-3 મિનિટ સુધી ચાલ્યો. પેરાશુટ ધીમેથી જમીન પર આવ્યુ અને વૈજ્ઞાનિકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ.
DRDO, ISRO, આર્મીનું સંયુક્ત ઓપરેશન
પેરાશૂટ ડિલેરેશન સિસ્ટમની ડિઝાઈન અને વિકાસ એ ISRO અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)નો સંયુક્ત કાર્યક્રમ છે. આ મહત્વપૂર્ણ પરીક્ષણ દરમિયાન ISRO અને DRDOના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને વાયુસેનાના અધિકારીઓ હાજર રહ્યા હતા. ISROએ એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું “ISRO અને DRDO વૈજ્ઞાનિકોની ક્ષમતાને સાબિત કરવા ઉપરાંત પરીક્ષણે દેશની અગ્રણી એજન્સીઓ, ISRO, DRDO, ભારતીય વાયુસેના અને ભારતીય સેના વચ્ચે સક્રિય સંકલન પણ દર્શાવ્યું છે.”