શું આ વર્ષે ચોમાસું લાવ્યું છે મુશ્કેલી ? મહારાષ્ટ્રના 13 જિલ્લા પૂરથી પ્રભાવિત
એક તરફ જ્યાં મહારાષ્ટ્રના ગામડાઓમાં જળસ્તર વધવાને કારણે પૂરની સ્થિતી બનેલી છે. તો બીજી તરફ દિલ્લીમાં શનિવારે લોકો ગરમી અને ઉકળાટથી ત્રાહીમામ પોકાર્યા હતા.
સમગ્ર દેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે લોકો હેરાન થઇ રહ્યા છે. પરંતુ વરસાદનો સૌથી વધુ જોર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પૂરને કારણે લોકો છેલ્લા પાંચ દિવસથી ઘરમાં પુરાયા છે. વરસાદને કારણે મહારાષ્ટ્રના 13 જિલ્લા અને 875 જેટલા ગામડાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રેસ્ક્યૂ ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 2 લાખ 30 હજાર જેટલા લોકોને બહાર કાઢ્યા છે.
મળતી માહિતી અનુસાર, પૂરને કરાણે છેલ્લા 4 દિવસોમાં 164 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 3 હજારથી વધુ પ્રાણીઓના પણ મોત થઇ ચૂક્યા છે. આ બધા વચ્ચે ચિંતાજનક સમાચાર છે કે, પૂરને કારણે લગભગ પોણા બે લાખ હેક્ટર જેટલી ખેતીની જમીન ધોવાઇ ગઇ છે અને 12 હજાર કરોડથી વધુ રૂપિયાનું નુક્સાન થયું છે.
સતત પાંચ દિવસથી વરસી રહ્યો છે વરસાદ
કોલ્હાપુરમાં વરસાદને કારણે તબાહીનો આજે પાંચમો દિવસ છે. હજી પણ હાઇવેના કિનારે 7-8 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. કોલ્હાપુરમાં સતત વરસાદ અને પંચગંગા નદીમાં જળસ્તર વધવાને કારણે ભયાનક પૂરની સ્થિતી બની છે. આ પૂરને કારણે 243 જેટલા ગામોમાં 10 થી 20 ફૂટ સુધીના પાણી ભરાઇ ગયા છે. અને ચારે તરફ તબાહીના દ્રશ્યો સર્જાયા છે. આ બધા વચ્ચે હાલ રાહતના સમાચાર છે કે શહેરોમાં ભરાયેલા પાણી હવે ઉતરવા લાગ્યા છે.
દિલ્લીમાં ગરમીથી હાલત ખરાબ
એક તરફ જ્યાં મહારાષ્ટ્રના ગામડાઓમાં જળસ્તર વધવાને કારણે પૂરની સ્થિતી બનેલી છે તો બીજી તરફ દિલ્લીમાં શનિવારે લોકો ગરમી અને ઉકળાટથી ત્રાહીમામ પોકાર્યા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિલ્લીવાસીઓને આવતા થોડાં દિવસોમાં ગરમીથી રાહત મળશે. આઇએમડી પ્રમાણે, દિલ્લીમાં આ અઠવાડિયામાં ફરીથી વરસાદ શરૂ થશે.
આ પણ વાંચો – તેલંગાણાના રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો, કેન્દ્રીયમંત્રી જી.કિશન રેડ્ડીએ વડાપ્રધાનનો માન્યો આભાર