IAS પૂજા સિંઘલ કેસમાં મોટો ખુલાસો, અનેક મોટા નેતાઓના નામ આવ્યા સામે, EDએ કહ્યું- CBIને તપાસ સોંપવી જોઈએ
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ED માટે હાજર થતાં કહ્યું કે પૂજા સિંઘલ (IAS Pooja Singhal) અને તેના CAની મનરેગા કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં 18 FIR નોંધવામાં આવી છે. જેની હજુ પણ રાજ્યના પ્રિવેન્શન ઓફ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા તપાસ ચાલી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે ઝારખંડ હાઈકોર્ટને (Jharkhand High Court) જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના એક મોટા કેસમાં ધરપકડ કરાયેલ ભારતીય વહીવટી સેવાના વરિષ્ઠ અધિકારી અને રાજ્ય ખાણ સચિવ પૂજા સિંઘલની (IAS Puja Singhal) પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા છે. અને નકલી કંપનીઓ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. EDએ કહ્યું કે આમાં ઘણા મોટા રાજકીય નેતાઓ સામેલ છે, તેથી રાજ્ય સરકાર દ્વારા તેની તપાસને પ્રભાવિત કરવાની તમામ શક્યતાઓ છે. તેને જોતા આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવી જોઈએ.
દસ્તાવેજોમાંથી થયા મહત્વના ખુલાસા
ઝારખંડ હાઈકોર્ટમાં ખાણ કૌભાંડ સંબંધિત પીઆઈએલ પર ચીફ જસ્ટિસ ડૉ. રવિ રંજન અને જસ્ટિસ સુજિત નારાયણ પ્રસાદની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન ભારત સરકારના એડવોકેટ જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં માઇનિંગ કૌભાંડ નકલી (shell) કંપનીઓના માધ્યમથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલ ખાણ સચિવ પૂજા સિંઘલની પૂછપરછ અને તેની અને તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસેથી મળી આવેલા દસ્તાવેજોમાંથી મહત્વના ખુલાસા થયા છે.
નકલી કંપનીઓના નામે ભ્રષ્ટાચાર
એડવોકેટ જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે આ મામલામાં મોટા નેતાઓ સામેલ છે. એજન્સીએ કહ્યું કે સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના પૂર્વ કોષાધ્યક્ષ રવિ કેજરીવાલે પણ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે અને આવી તમામ નકલી કંપનીઓના નામ પણ આપ્યા છે, જેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હતો.
મનરેગા કૌભાંડ કેસમાં પૂજા સિંઘલની ધરપકડ
ED તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે મનરેગા કૌભાંડ કેસમાં પૂજા સિંઘલ અને તેના CAની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં 18 FIR નોંધવામાં આવી છે. જેની હજુ પણ રાજ્યના પ્રિવેન્શન ઓફ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા તપાસ ચાલી રહી છે. તેમણે એવી આશંકા વ્યક્ત કરી હતી કે એસીબી રાજ્ય સરકાર હેઠળ છે અને તે તપાસને પ્રભાવિત કરી શકે છે. તેથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ.
આગામી સુનાવણી 19 મેના રોજ થશે
બીજી તરફ, આ કેસમાં રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મનરેગા કૌભાંડને લઈને EDની કાર્યવાહી વર્ષ 2018માં કરવામાં આવી છે. આ કેસમાં પૂજા સિંઘલની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ માધ્યમથી રાજ્ય સરકારને નિશાન બનાવવામાં આવી રહી છે. આ કેસમાં ફરિયાદી દ્વારા કોર્ટમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી. આ પછી, ડિવિઝન બેન્ચે તેની સાથે સુનાવણી માટે મનરેગા સંબંધિત મામલાની યાદી બનાવવાનો આદેશ આપ્યો. કોર્ટે રાજ્ય સરકારના મનરેગા કૌભાંડમાં નોંધાયેલી એફઆઈઆરની માહિતી પણ માંગી છે. આ મામલે આગામી સુનાવણી 19 મેના રોજ નક્કી કરવામાં આવી છે.