કેદીઓ તેમના જીવનસાથી સાથે જેલમાં 2 કલાક સાથે રહી શકશે, આવી સુવિધા આપનાર આ રાજ્ય બન્યું પ્રથમ
જેલમાં કેદ ખૂંખાર ગુનેગાર, ગેગસ્ટર, યૌન અપરાધ સંબંધિત કેસોમાં સજા કાપી રહેલા કેદીઓને આ સુવિધા નહીં મળે. સારા વર્તનવાળા કેદીઓને તેમના જીવનસાથી સાથે બે કલાક રહેવાની છૂટ આપવામાં આવશે.
પંજાબના કેદીઓ હવે તેમના જીવનસાથી સાથે થોડો સમય વિતાવી શકશે. પંજાબ રાજ્યની ભગવંત માન સરકારના (Punjab Government) જેલ વિભાગે મંગળવારથી કેદીઓને અલગ રૂમમાં થોડા કલાકો વિતાવવાની સુવિધા આપવાનું શરૂ કર્યું છે. આવી સુવિધા શરૂ કરનાર પંજાબ (Punjab) દેશનું પ્રથમ રાજ્ય છે. જેલ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને ગોઇંદવાલ સાહિબની સેન્ટ્રલ જેલ, નાભાની નવી જિલ્લા જેલ અને ભટિંડાની મહિલા જેલમાં મંજૂરી આપવામાં આવશે.
તેમણે કહ્યું કે ખૂંખાર ગુનેગારો, ગેગસ્ટર, જાતીય અપરાધો સંબંધિત કેસોમાં સજા કાપી રહેલા કેદીઓને આ સુવિધા નહીં મળે. અધિકારીએ કહ્યું કે સારું વર્તન ધરાવતા કેદીઓને તેમના જીવનસાથી સાથે બે કલાક રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે વિભાગે એક રૂમ નક્કી કર્યો છે, જેમાં શૌચાલય પણ હશે.
લાંબા સમયથી જેલમાં રહેલા કેદીને પ્રાથમિકતા આપવામાં આવશે
લાંબા સમયથી જેલમાં રહેલા કેદીઓને પ્રાથમિકતા આપવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે, અમને મળેલી માહિતી મુજબ, પંજાબ આ સુવિધા શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે. વિભાગને આશા છે કે આ પ્રકારની પહેલથી વૈવાહિક સંબંધ મજબૂત થશે અને કેદીઓનું સારું વર્તન પણ સુનિશ્ચિત થશે.
લગ્નનો પુરાવો પતિ કે પત્નીને બતાવવાનો રહેશે
તેમણે કહ્યું કે આવી મુલાકાત માટે આવનાર પતિ કે પત્નીએ તેમના લગ્નનો પુરાવો દર્શાવવો પડશે અને મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કરવું પડશે કે તેઓ એચઆઈવી અથવા અન્ય કોઈ જાતીય સંક્રમિત રોગ, કોરોના વાયરસ ચેપ અથવા અન્ય કોઈ ચેપી રોગથી પીડિત નથી. જેલ વિભાગે થોડા દિવસો પહેલા કેદીઓને તેમના પરિવારના સભ્યોને જેલ પરિસરમાં મળી શકે તે માટે એક અન્ય કાર્યક્રમ પણ શરૂ કર્યો હતો.
આ કાર્યક્રમ લુધિયાણા જેલથી શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત કેદીઓ અને અન્ડરટ્રાયલ કેદી દર પખવાડિયે લગભગ એક કલાક સુધી તેમના પ્રિયજનોને મળી શકે છે. આ બેઠક માટે જેલ પરિસરમાં એક ઓરડો પણ ફાળવવામાં આવ્યો છે. કેદીના પરિવારના સભ્યો પણ તેમની સાથે ભોજન લઈ શકે છે.