Indus Water Treaty: પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત પહોંચ્યું, સિંધુ જળ વિવાદ પર થશે વિગતવાર ચર્ચા
વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા નિયુક્ત આ પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં (Delhi) સિંધુ જળ સંધિ પર ભારતીય પક્ષ સાથે વાતચીત કરશે. આ બેઠકમાં બંને પક્ષો મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા કરશે.
આજે (સોમવારે) ભારત અને પાકિસ્તાન (India Pakistan) વચ્ચે સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) પર 118મી દ્વિપક્ષીય વાટાઘાટો યોજાવા જઈ રહી છે. સિંધુ જળ સંધિ પર આ બેઠક માટે પાકિસ્તાનનું પાંચ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું છે. પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ વાઘા બોર્ડરથી ભારત આવ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા નિયુક્ત આ પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં સિંધુ જળ સંધિ પર ભારતીય પક્ષ સાથે વાતચીત કરશે. આ બેઠકમાં બંને પક્ષો મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા કરશે. આ બેઠકમાં બંને પક્ષો પૂરની આગાહીના ડેટા શેર કરવા અંગે ચર્ચા કરશે.
આ ઉપરાંત PCIW (પરમેનન્ટ કમિશન ફોર ઇન્ડસ વોટર્સ)ના વાર્ષિક અહેવાલની પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન ચિનાબ બેસિન (જમ્મુ અને કાશ્મીર)માં પાકલ દુલ (1000 મેગાવોટ ક્ષમતા) અને લોઅર કાલનાઈ (48 મેગાવોટ) અને 624 મેગાવોટ કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ પર પણ વિગતવાર ચર્ચા કરે તેવી શક્યતા છે. PCIW સ્તરે સોમવારે યોજાનારી આ 118મી બેઠક હશે. અગાઉ, બંને દેશોએ 2 અને 4 માર્ચ (2022) વચ્ચે પાકિસ્તાનમાં ત્રણ દિવસીય બેઠક કરી હતી.
પાકિસ્તાને અનેક પ્રોજેક્ટ સામે વાંધો વ્યક્ત કર્યો હતો
ચિનાબ બેસિનમાં પાકલ દુલ (1000 મેગાવોટ) અને લોઅર કાલનાઈ (48 મેગાવોટ) હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર પાકિસ્તાનના વાંધાઓ અંગે પહેલેથી જ ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ પાકિસ્તાને ડાર્બુક શ્યોક, નિમુ ચિલિંગ, કિરુ, તમાશા, કાલારુસ-II, બાલ્ટીકુલન સ્મોલ, કારગિલ હન્ડરમેન, ફાગલા, કુલાન રામવારી અને મંડીમાં 10 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. આ તમામ પ્રોજેક્ટને બેઠકમાં ચર્ચાનો ભાગ બનાવવામાં આવ્યો છે.
હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર વાતચીત થશે
અગાઉ, એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ જેલમ અને ચિનાબ જેવી પાકિસ્તાની નદીઓ પર બનાવવામાં આવી રહેલા કોઈપણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે નહીં. જો કે બંને દેશો ચોક્કસપણે તે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર વાટાઘાટો કરશે, જેના વિશે પાકિસ્તાને કહ્યું કે. આ 1960ની સિંધુ જળ સંધિની જોગવાઈ અનુસાર નથી.
1960ના સિંધુ જળ કરાર પર તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને વિશ્વ બેંકની મધ્યસ્થીથી હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ બંને દેશોમાં વહેતી સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીના ઉપયોગ સાથે સંબંધિત છે. જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાનના અધિકારીઓ 30 અને 31 મેના રોજ દિલ્હીમાં PCIW સ્તરની મંત્રણા કરશે. ત્યારબાદ પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ 1લી જૂને તેમના દેશ પરત ફરશે.