ભારતીયોને આગામી 1 જાન્યુઆરીથી આ દેશમાં નહી મળે વિઝા ફ્રિ એન્ટ્રી, જાણો કેમ ?
ભારતીય દૂતાવાસે જાહેર કરેલ એડવાઈઝરી મુજબ મૂળ ભારતીય હોય પરંતુ વિદેશમાં રહેતા હોય અને ભારતીય પાસપોર્ટ ધરાવતા હોય તેવા નાગરીકે, જે તે રહેઠાણના દેશમાં વિઝા માટે અરજી કરવાની રહેશે.
ગેરકાયદેસર ઘૂષણખોરીને નિયંત્રિત કરવા અને યુરોપિયન વિઝા નીતિનું પાલન કરવા માટે, સર્બિયા સરકારે ભારતીયો માટે વિઝા-મુક્ત મુસાફરીને નાબૂદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સર્બિયાના સત્તાવાર નિવેદન અનુસાર, આગામી 1 જાન્યુઆરી, 2023 થી, ભારતીય પાસપોર્ટ ધારકોને હવે માન્ય વિઝા વિના સર્બિયા જવાની સુવિધા રહેશે નહીં. એટલે કે વિઝા વિના સર્બિયામાં પ્રવેશ મળશે નહી.
અગાઉ, રાજદ્વારી અને સત્તાવાર ભારતીય પાસપોર્ટ ધારકોને 90 દિવસ માટે વિઝા વિના દેશની મુલાકાત લેવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે સામાન્ય પાસપોર્ટ ધારક હોય તેવા ભારતીયો માટે આ સમયગાળો 30 દિવસનો હતો. એક નિવેદનમાં, સર્બિયાની સરકારે કહ્યું કે, સર્બિયામાં 30 દિવસ સુધીના રોકાણ માટે તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે સર્બિયામાં વિઝા-મુક્ત પ્રવેશની હાલની વ્યવસ્થા આગામી 31 ડિસેમ્બર 2022થી પાછી ખેંચી લેવામાં આવી છે.
પાંચ વર્ષથી વ્યવસ્થા હતી
સર્બિયા દ્વારા ભારતીયો માટે સપ્ટેમ્બર 2017માં વિઝા-મુક્ત પ્રવેશની રજૂઆત કરવામાં આવી હતી. સર્બિયા જતા ભારતીયો માટે એક મુશ્કેલી એ હતી કે, વિઝા ફ્રી એન્ટ્રીના આધારે સર્બિયામાં પ્રવેશ મેળવનાર ભારતીયો, સર્બિયાના પડોશી દેશો અને અન્ય યુરોપીયન દેશો સહિત અન્ય દેશોમાં મુસાફરી કરી શકતા નહોતા. સર્બિયા સરકારની જાહેરાત બાદ, બેલગ્રેડમાં ભારતીય દૂતાવાસે, વિઝા નિયમોમાં ફેરફાર વિશે ભારતીય નાગરિકોને જાણ કરતી એક એડવાઈઝરી બહાર પાડી છે.
ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ભારતીય દૂતાવાસે જાહેર કરેલ એડવાઈઝરી મુજબ, આગામી 1 જાન્યુઆરી, 2023 થી, સર્બિયા જનારા તમામ ભારતીય નાગરિકોને રિપબ્લિક ઓફ સર્બિયામાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડશે. સર્બિયામાં 30 દિવસના રોકાણ માટે તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે સર્બિયામાં વિઝા-મુક્ત પ્રવેશની હાલની વ્યવસ્થા સર્બિયાની સરકારે પાછી ખેંચી લીધી છે.
ભારતીય નાગરિકો, જેઓ 1 જાન્યુઆરી, 2023 ના રોજ અથવા તે પછી સર્બિયાની મુલાકાત લઈ રહ્યા છે, તેમણે નવી દિલ્હીમાં સર્બિયાના દૂતાવાસમાં અથવા તો મૂળ ભારતીય હોય પરંતુ વિદેશમાં રહેતા હોય અને ભારતીય પાસપોર્ટ ધરાવતા હોય તેવા નાગરીકે રહેઠાણના દેશમાં વિઝા માટે અરજી કરવાની રહેશે. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માન્ય શેંગેન, યુકે વિઝા, અથવા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વિઝા અથવા આ દેશોમાં નિવાસી દરજ્જા ધરાવતા ભારતીયો હજુ પણ 90 દિવસ સુધી સર્બિયામાં પ્રવેશ કરી શકે છે.