Ukraine and Russia War: કિવમાં ગોળી લાગવાથી ઘાયલ થયેલ વિદ્યાર્થી હરજોતની સારવારનો ખર્ચ ઉઠાવશે ભારત: વિદેશ મંત્રાલય
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. કિવમાં લશ્કરી કાર્યવાહીમાં એક ભારતીય વિદ્યાર્થીને ઘણી ગોળીઓ લાગી છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘાયલ વિદ્યાર્થી હરજોતે ભારતીય દૂતાવાસ પાસે મદદ માંગી હતી.
વિદેશ મંત્રાલય (MEA) એ શુક્રવારે કહ્યું કે ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહની (Harjot Singh) સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હરજોતને કિવમાં ગોળી વાગી હતી. એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ (Arindam Bagchi) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “ભારત સરકાર હરજોત સિંહની સારવારનો ખર્ચ ઉઠાવશે. અમે તેની તબીબી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જ્યાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી હતી તે વિસ્તારમાં યુદ્ધ ચાલી રહ્યું છે.
હરજોત સિંહે આજે ફરિયાદ કરી છે કે કિવમાં ભારતીય દૂતાવાસ તરફથી તેમને કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. હરજોતે કહ્યું, “કૃપા કરીને મને અહીંથી બહાર કાઢો. મને લાગતું હતું કે હું મરી જઈશ, પણ હું આટલી જલ્દી મરવા માંગતો ન હતો. હું મારું જીવન મારા પરિવાર સાથે વિતાવવા માંગુ છું. મારી માતાના આશીર્વાદને કારણે આજે હું જીવિત છું.”
હરજોત સિંહ અન્ય બે વિદ્યાર્થીઓ સાથે ટેક્સીમાં લવિવિ જઈ રહ્યો હતો. આ દરમિયાન ગોળીબારમાં ગોળી વાગ્યા બાદ તે બેહોશ થઈ ગયો હતો. કોઈ રીતે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ડોક્ટરોએ તેને કહ્યું કે તેને ઘણી ગોળી વાગી છે. તેની કિવ ક્લિનિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જે ત્યાં ભારતીય દૂતાવાસથી 20 મિનિટ દૂર છે. હરજોત દિલ્હીના છતરપુર વિસ્તારનો રહેવાસી છે અને વધુ અભ્યાસ માટે યુક્રેન ગયો હતો.
છેલ્લી વ્યક્તિને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી ઓપરેશન ગંગા ચાલુ રહેશે – વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ કહ્યું છે કે સરકારે અત્યાર સુધીમાં એક બાંગ્લાદેશી નાગરિકને બહાર કાઢ્યો છે. તેમણે કહ્યું કે સરકારને એક નેપાળી નાગરિક દ્વારા પણ બહાર નિકળવા માટે વિનંતી મળી છે. બાગચીએ વધુમાં કહ્યું કે સરકારને કોઈ ભારતીયને બંધક બનાવવાની જાણ નથી.
યુક્રેનના ખારકીવમાં સુરક્ષાના કારણોસર તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ ત્યાં કોઈ બંધકની સ્થિતિમાં નથી. બાગચીએ એ પણ પુનરોચ્ચાર કર્યો કે જ્યાં સુધી છેલ્લી વ્યક્તિને બચાવવામાં ન આવે ત્યાં સુધી સરકાર ઓપરેશન ગંગા ચાલુ રાખશે.
ભારતીય નાગરિકોને લાવવાના પ્રયાસો ચાલુ છે
અરિંદમ બાગચીએ કહ્યું, “અમે એડવાઈઝરી જાહેર કરી ત્યારથી 20,000થી વધુ ભારતીયો યુક્રેનની સરહદ પાર કરી ચૂક્યા છે. હજુ પણ ઘણા લોકો ત્યાં ફસાયેલા છે. ભારત સરકારે શુક્રવારે કહ્યું હતું કે ‘ઓપરેશન ગંગા’ ઈવેક્યુએશન પ્લાન હેઠળ લગભગ 10,800 ભારતીયોને યુક્રેનના પડોશી દેશોમાંથી વિશેષ ફ્લાઈટ્સ દ્વારા પરત લાવવામાં આવ્યા છે. આવતીકાલે, 11 વિશેષ નાગરિક ફ્લાઇટ દ્વારા 2200 થી વધુ ભારતીયોને પરત લાવવાની અપેક્ષા છે, જેમાંથી 10 નવી દિલ્હીમાં અને એક મુંબઈમાં ઉતરશે.
આ પણ વાંચો : ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ રોડ્રિગ્સનું નિધન, ભારતીય સેનાએ શોક વ્યક્ત કર્યો