ગુજરાતમાં નૌસેના મથકથી ત્રણ કિલોમીટર સુધીમાં ઉડનારા ડ્રોનને ગોળી મારીને તોડી પડાશે, ભારતીય નૌસેનાએ આપી ચેતવણી
નૌકાદળે પહેલાથી જ મુંબઇ અને ગોવામાં નૌસેના મથકની આજુબાજુમાં ત્રણ કિલોમીટર સુધીમાં ઉડનારા ડ્રોન માટે ચેતવણી આપી ચૂક્યુ છે. હવે ગુજરાતમાં આવેલા નૌસેના મથક માટે ચેતવણી આપી છે.
ગુજરાતમાં નૌસેના મથકની આસપાસ ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ લગાવતી ચેતવણી ભારતીય નૌકાદળ (Indian Navy) દ્વારા આપવામાં આવી છે. સાથોસાથ જણાવાયુ છે કે, નૌસેના મથકની આજુબાજુના ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં મંજૂરી વિના કોઈ પણ ડ્રોન ઉડતુ જોવા મળશે તો તેને ગોળી મારીને તોડી પાડવામાં આવશે.
એક સત્તાવાર નિવેદનમાં નૌકાદળે દ્વારા જણાવ્યું છે કે ગુજરાતમાં નૌસેના મથકની ચારેબાજુમાં ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારને “નો ફ્લાય ઝોન” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ કે નાગરિક સંસ્થાઓ દ્વારા આ વિસ્તારમાં પૂર્વ મંજૂરી વિના કોઈ ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય નૌકાદળ પાસેથી પૂર્વ મંજૂરી વગર આ વિસ્તારોમાં ઉડાડવામાં આવનારા કોઈપણ ડ્રોન અથવા યુએવી કબજે કરવા અથવા નાશ કરવાનો અધિકાર નૌસેનાને છે. આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારા ડ્રોન ઉડાડનારાઓ સામે કાયદાની વિવિધ કલમ અને જોગવાઈઓ હેઠળ કાનુની કાર્યવાહી થઈ શકે છે. ”
મુંબઈ અને ગોવામાં પહેલેથી જ છે ચેતવણી
નૌકાદળે પહેલાથી જ મુંબઇ અને ગોવામાં નૌસેના મથકની આજુબાજુમાં ત્રણ કિલોમીટર સુધીમાં ઉડનારા ડ્રોન માટે ચેતવણી આપી ચૂક્યુ છે. હવે ગુજરાતમાં આવેલા નૌસેના મથક માટે ચેતવણી આપી છે. નૌકાદળે પહેલાથી જ મુંબઇ અને ગોવામાં તેમના નૌસેના મથક માટે આ પ્રકારની જ ચેતવણી આપી ચુક્યુ છે. ગયા મહિને જમ્મુમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર ડ્રોનથી હુમલો થયા બાદ આ પ્રકારની કાર્યવાહી નૌસેનાએ પણ હાથ ધરી છે.
ગુજરાત, દમણ અને દિવ ક્ષેત્રમાં ડ્રોનને ઉડાડવા માટે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન પાસેથી પરવાનગી લેવી પડશે. અને મંજૂરી પત્રની નકલ ગુજરાત રાજ્યમાં આવેલા નૌકાદળના મુખ્ય મથક અથવા સંબધિત નૌસેના મથકના અધિકારીને ઓછામાં ઓછા એક સપ્તાહ પહેલા જ આપવી પડશે. ગુજરાતમાં નૌકાદળનું મથક પોરબંદર અને ઓખામાં છે. જે પશ્ચિમ નેવલ કમાન્ડનો એક ભાગ ગણાય છે.