Indian Vaccines: ભારતની કોવિશિલ્ડને અત્યાર સુધી 46 દેશોએ આપી માન્યતા, જાણો કોવેક્સિનને WHO ક્યારે આપશે મંજૂરી ?
India Covid Vaccines: ભારતમાં કોરોના વાયરસ સામે બે વેક્સિન તૈયાર કરવામાં આવી છે, જેમાંથી એક કોવિડશિલ્ડ છે, જેને WHO દ્વારા માન્યતા મળી છે. જયારે બીજી કોવેક્સિનને હજુ સુધી મંજૂરી મળી નથી.
Indian Vaccines: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ વિશ્વભરમાં કોરોના (corona) મહામારી સામે જીતવા માટે અત્યાર સુધીમાં સાત રસીઓને મંજૂરી આપી છે. તેમાં મોર્ડેના, ફાઇઝર-બાયોએન્ટેક, જોન્સન એન્ડ જોન્સન, ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકા, ભારતની કોવિશિલ્ડ, ચીનની સિનોફાર્મ અને સિનોવાક વેક્સિનનો સમાવેશ થાય છે.
મહામારીને કાબુમાં લેવા માટે ભારતમાં અત્યાર સુધીમાં રસીના 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જોકે અહીં ઘણી વેક્સિનને મંજૂર કરવામાં આવી છે, પરંતુ દેશમાં જ બે રસી તૈયાર કરવામાં આવી છે. જેમના નામ કોવિશિલ્ડ અને કોવેક્સિન છે.
આ પૈકી કોવિશિલ્ડ વેક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણેમાં બનાવવામાં આવી છે. આ રસી વિકસાવવાનું કામ બ્રિટિશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા કરવામાં આવ્યું છે. બીજી બાજુ કોવેક્સિન સપૂર્ણપણે સ્વદેશી છે અને તેને ભારત બાયોટેક કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. ભારતની આ રસીને હજુ WHO દ્વારા મંજૂરી મળી નથી. સંસ્થા આ મુદ્દે 26 ઓક્ટોબર પર એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે. આ દિવસે કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને આ અંગે માહિતી આપતા કહ્યું કે WHOનું ટેકનિકલ સલાહકાર જૂથ બેઠકમાં રસી માટે EUL પર વિચાર કરશે. કોવેક્સિનની ઓળખ પણ ખૂબ મહત્વની છે કારણ કે જે લોકો તેને લગાવે છે તેમને વિદેશ જવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ જ રસી મળી છે. જોકે, કેટલાક દેશોએ તેને માન્યતા આપી છે, જેમાં નેપાળ, પેરાગ્વે, ફિલિપાઈન્સ, ઝિમ્બાબ્વે, મોરેશિયસ, ઈરાન અને ગુયાનાનો સમાવેશ થાય છે.
બીજી વેક્સિનની વાત કરવામાં આવે તો કોવિશિલ્ડને 46 દેશોએ માન્યતા આપી છે. જેમાં બ્રિટન, અમેરિકા, સર્બિયા, હંગેરી, યુક્રેન, આર્મેનિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જર્મની, આર્જેન્ટિના, બહેરીન, બાંગ્લાદેશ, બાર્બાડોસ, ભૂતાન, કેનેડા, બેલારુસ, લેબેનોન, નેપાળ, માલદીવ અને બેલ્જિયમ સહિત અન્ય ઘણા દેશો સામેલ છે.
ભૂતકાળમાં રસીના મુદ્દે બ્રિટન સાથે વિવાદ થયો હતો. અહીં કોવિશિલ્ડ રસીની મંજૂરી હોવા છતાં, ભારતીયો માટે 10 દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઇનમાં રહેવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં ભારતે બ્રિટનથી આવતા લોકો માટે પણ આ જ નિયમ લાગુ કર્યો હતો. જો કે, બંને દેશો પાછળથી તેમના નિર્ણયથી પીછેહઠ કરી હતી.