PAK-ચીન પર એસ. જયશંકરના આકરા પ્રહારો, કહ્યું-ભારત કોઈના દબાણને વશ નહી થાય, કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, જો 1947માં દેશનું વિભાજન ના થયું હોત તો ભારત વિશ્વનો સૌથી મોટો દેશ હોત, ચીન નહીં.
વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર પોતાના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભારત હવે કોઈના દબાણમાં નહીં આવે અને જવાબી કાર્યવાહી કરશે. વિદેશ મંત્રીએ કહ્યું કે, જો તે (પાકિસ્તાન-ચીન) બાજુથી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતે પણ તાજેતરના સમયમાં આવું કર્યું છે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે ચેન્નાઈમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, પાકિસ્તાનથી ઉદ્ભવતા આતંકવાદ અને ચીન સાથેની આક્રમક સીમાપાર અથડામણો સામે ભારતની જવાબી કાર્યવાહીએ સાબિત કર્યું છે કે, દેશ હવે કોઈના પણ દબાણને વશ નહીં થાય. તેમણે કહ્યું કે ભારત તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પગલાં લેશે. 2019ની ઘટનાનો ઉલ્લેખ કરતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં વાયુસેના દ્વારા કરવામાં આવેલા બાલાકોટ એર સ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાનને ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
ચીન યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે
ચેન્નાઈમાં તમિલ સાપ્તાહિક ‘તુગલક’ની 53મી વર્ષગાંઠ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતા વિદેશ પ્રધાન, એસ. જયશંકરે કહ્યું, ‘ચીન આજે ઉત્તરી સરહદો પર મોટા પ્રમાણમાં સેના લાવીને આપણી સરહદોનું ઉલ્લંઘન કરીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોરોના હોવા છતાં, આપણો વળતો જવાબ મજબૂત રીતે અને નિશ્ચિત હતો. હજારોની સંખ્યામાં તહેનાત આપણા સૈનિકોએ મુશ્કેલ વિસ્તારોમાં આપણી સરહદોની રક્ષા કરી હતી અને તેઓ હજુ પણ સંપૂર્ણ તૈયારી સાથે સરહદોની રક્ષા કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષાના ઘણા પાસાઓ
તેમણે કહ્યું, ‘રાષ્ટ્રીય સમૃદ્ધિના ઘણા પાસાઓ છે અને રાષ્ટ્રીય સુરક્ષા નિઃશંકપણે મૂળભૂત પાયો છે. આ સંદર્ભે તમામ દેશોની કસોટી કરવામાં આવે છે, પરંતુ અમને ઉગ્રવાદથી લઈને સરહદ પારના આતંકવાદ સુધીની ઘણી સમસ્યાઓ હતી. બાલાકોટ એરસ્ટ્રાઈક્સે ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. જયશંકરે કહ્યું, “ભારત એક એવો દેશ છે જે કોઈપણ દબાણમાં આવશે નહીં અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધું જ કરશે.”
તો ભારત વિશ્વનો સૌથી મોટો દેશ હોત, ચીન નહીં
વિદેશ મંત્રીએ કહ્યું કે જો 1947માં દેશના ભાગલા પડ્યા ના હોત તો, ભારત આજે વિશ્વનો સૌથી મોટો દેશ હોત, ચીન નહીં. તેમણે એમ પણ કહ્યું કે, ‘તમને આશ્ચર્ય થશે કે વિદેશ પ્રધાન આ બધી વાત કેમ કરી રહ્યા છે. મારા વિદેશ પ્રવાસ દરમિયાન, મેં ઘણા વિકસિત દેશોને પૂરા પાડવામાં આવેલ અમારી (કોવિડ-19) રસીઓ અને અમારા ટેક્નોલોજી-સક્ષમ શાસન વિશે વખાણ સાંભળ્યા છે.