લદ્દાખમાં બનશે ભારતનું પ્રથમ ‘નાઇટ સ્કાય સેન્ચ્યુરી’, ત્રણ મહિનામાં થશે તૈયાર, પર્યટન ઉધોગને મળશે વેગ
Night Sky Sanctuary : લદ્દાખમાં દેશની પહેલી નાઈટ સ્કાય સેન્ચ્યુરી બની રહી છે. વિજ્ઞાન અને પ્રૌધોગિકી મંત્રી જિતેંદ્ર સિંહે માહિતી આપી છે, તેનાથી પર્યટન ઉધોગને વેગ મળશે.
બ્રહ્માંડ અનેક તારા, ગેલેક્સી, ગ્રહો, ઉપગ્રહો અને રહસ્યોથી ભરપૂર છે. માનવસમાજે અવકાશના (Space) રહસ્યો અને તેની નવી નવી માહિતી મેળવવા માટે અનેક અવકાશ મિશન કર્યા છે. દુનિયામાં કરોડો લોકો એવો હોય છે જે આ અવકાશની તમામ બાબતો જાણવા માટે આતુર હોય છે. કેટલાક લોકોનો અવકાશ પ્રત્યેનો પ્રેમ એવો હોય છે કે તેઓ ઘરે પોતાના બજેટ પ્રમાણે ટેલિસ્કોપ લાવીને અવકાશને વધારે નજીકથી જુએ છે અને અવકાશની સુંદરતાને માણે છે. ભારતમાં પણ આવા ઘણા અવકાશપ્રેમીઓ છે. ભારતના અનેક અવકાશ વૈજ્ઞાનિકોએ ભારતમાં અવકાશ મિશનને સફળતા પૂર્વક પૂરા કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યુ છે. હાલમાં કેન્દ્ર સરકાર તરફથી ભારતના અવકાશ પ્રેમીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. દેશનું પ્રથમ નાઈટ સ્કાય સેન્ચ્યુરી (Night Sky Sanctuary) લદ્દાખમાં બનવા જઈ રહ્યું છે.
લદ્દાખના હનલે ક્ષેત્રમાં દેશની પહેલી નાઈટ સ્કાય સેન્ચ્યુરી આવતા ત્રણ મહિનામાં બની જશે. વિજ્ઞાન અને પ્રૌધોગિકી મંત્રી જિતેંદ્ર સિંહે આ માહિતી આપી છે. નવી દિલ્હીમાં મુલાકાત માટે પહોંચેલા લદ્દાખના ઉપ રાજ્યપાલ આર કે માથુર સાથેની વાતચીત દરમિયાન તેમણે આ માહિતી આપી છે. લદ્દાખમાં પર્યટન ઉધોગ અને બીજા અનેક વિકાસ કર્યો માટેની પણ યોજના તૈયાર કરવામાં આવી છે.
નાઈટ સ્કાય સેન્ચ્યુરી એટલે શું ?
નાઈટ સ્કાય સેન્ચ્યુરી દુનિયાના ઊંચાઈવાળા ક્ષેત્રમાં બનાવવામાં આવે છે. નાઈટ સ્કાય સેન્ચ્યુરી એવું ક્ષેત્ર છે જ્યાંથી અવકાશના તારા અને ગ્રહોનો અભ્યાસ કરી શકાય. તેના માટે ત્યા પ્રકાશના પ્રદૂષણને નિયંત્રણમાં કરીને રાત્રે વધારે અધંકાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં વાહાનોની અવરજવર પર પણ નિંયત્રણ રાખવામાં આવે છે. ઘરોનો પ્રકાશ બહાર ન આવે તેના માટે મોટા પર્દા કે બલ્બની દિશા પહેલાથી નક્કી કરવામાં આવે છે.
આ બધી વ્યવસ્થાથી આકાશમાં વધારે અંધકાર થાય છે અને અવકાશ વધારે સાફ અને નજીકથી જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે લદ્દાખમાં વર્ષોથી આકાશ સાફ જ રહે છે. તેવામાં ત્યાં નાઈટ સ્કાય સેન્ચ્યુરી સરળ રહેશે. વિશ્વમાં અનેક દેશોમાં આવા નાઈટ સ્કાય સેન્ચ્યુરી બનાવવામાં આવ્યા છે.
આ જગ્યાએ લગાવાશે ટેલિસ્કોપ
વિજ્ઞાન અને પ્રૌધોગિકી મંત્રી જિતેંદ્ર સિંહે આપેલી માહિતી અનુસાર, દેશની પહેલી નાઈટ સ્કાય સેન્ચ્યુરી લદ્દાખના ચંગથંગ વન્યજીવ અભ્યારણ્યનો ભાગ હશે. તેના કારણે ખગોળ પર્યટનને વેગ મળશે. લદ્દાખના હનલે ઓપ્લિકલ ઈન્ફ્રા રેડ અને ગામા રે ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ યોજનાથી સ્થાનીય અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. લોકો આ જગ્યાએ આવીને અવકાશને વધારે નજીકથી જોઈ શકશે.