India China Talks: LAC પર તણાવ ઓછો કરવા ભારત-ચીન વચ્ચે 12 કલાક ચાલી સૈન્ય મંત્રણા, સેના હટાવવા મુદ્દે ડ્રેગન પર લવાયુ દબાણ
India China Military Talks: LAC પર ભારતીય સીમામાં ચુશુલ મોલ્ડો બેઠક સ્થળ પર સવારે 9.30 વાગ્યે વાટાઘાટો શરૂ થઈ હતી, જે રાત્રિના 10 વાગ્યા સુધી ચાલી.
પૂર્વી લદ્દાખમાં (East Ladakh) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવાના હેતુ સાથે રવિવારે ભારત અને ચીન (China)ની સેનાઓ વચ્ચે કમાન્ડર-સ્તરની વાટાઘાટો થઈ હતી. ચુશુલ-મોલ્ડો પોઈન્ટ પર 16માં તબક્કાની આ બેઠક લગભગ 12 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન ભારત દ્વારા ચીન પર LAC પર તૈનાત તેના સૈનિકોને હટાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જો કે આ મીટિંગ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ પહેલા ભારતીય સેના (Indian Army) અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)વચ્ચે 11 માર્ચે સૈન્ય વાટાઘાટો થઈ હતી.
LAC પર ભારતીય સીમામાં ચુશુલ મોલ્ડો બેઠક સ્થળ પર સવારે 9.30 વાગ્યા આસપાસ આ મંત્રણા શરૂ થઈ હતી, જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોટ સ્પ્રિંગ વિસ્તારના પેટ્રોલિંગ પોઈન્ટ 15 પરથી સેનાને સંપૂર્ણ રીતે હટાવવા અંગેની વાતચીતમાં સહમતી સાધવા અંગે તૈયારી બતાવાઈ છે. રવિવારે યોજાયેલી 16માં રાઉન્ડની બેઠકમાં ભારતે ચીનને એપ્રિલ 2020 પહેલાની LAC પરની યથાસ્થિતિને ફરી કાયમ કરવાની વાત કરી. એપ્રિલ 2020 પછીથી જ બંને દેશો વચ્ચે LAC પર તણાવ વધ્યો છે.
11મી માર્ચે થઈ હતી 15માં રાઉન્ડની વાતચીત
આ સૈન્ય વાટાઘાટોમાં, ભારતીય પ્રતિનિધિ મંડળનું પ્રતિનિધિત્વ લેહ સ્થિત 14મી કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિંદય સેનગુપ્તાએ કર્યું હતું. તો ચીનના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ દક્ષિણ શિનજિયાંગ સૈન્ય જિલ્લા પ્રમુખ મેજર જનરલ યાંગ લિને કર્યુ હતુ. ભારત પહેલાથી જ સતત કહેતુ આવ્યુ છે કે LAC પર શાંતિ અને સુમેળભર્યુ વાતાવરણ જાળવી રાખવુ એ દ્વિપક્ષીય સંબંધોને વિકસાવવા માટે ઘણુ જરૂરી છે.
ભારતીય સેના અને ચીની સેના વચ્ચે 11 માર્ચે થયેલી 15માં તબક્કાની વાતચીતમાં કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું. બંને પક્ષોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રશ્નોના નિરાકરણથી શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ આવશે.
બંને દેશોના 60 હજાર સૈનિકોની કરાઈ તૈનાતી
ભારત અને ચીનના સશસ્ત્ર દળો વચ્ચે મે 2020 થી પૂર્વ લદ્દાખમાં સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. ભારત અને ચીને પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા ગતિરોધને ઉકેલવા માટે અત્યાર સુધીમાં અનેક સૈન્ય અને રાજકીય સ્તરની વાટાઘાટો થઈ ચુકી છે. બંને પક્ષો વચ્ચે સૈન્ય સ્તરની મંત્રણાની ફળશ્રુતી રૂપે કેટલાક વિસ્તારમાંથી સૈનિકોને હટાવવામાં પણ આવ્યા છે. જો કે વર્તમાન સમયમાં LACના સંવેદનશીલ વિસ્તારોમાં બંને દેશોના 60,000 જેટલા સૈનિકો તૈનાત છે.