જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ કેટલા લોકોએ ખરીદી જમીન ?
જમ્મુ કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 દૂર કરાયાને બે વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. 370ની કલમ હટતા, નિયમોમાં પણ ફેરફાર થયો છે. હવે કોઈ કાશ્મીરની બહારની વ્યક્તિ પણ જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે. કલમ 370 હટાવ્યા બાદ બે વર્ષમા જમ્મુ કાશ્મીરમાં અન્ય પ્રાંતના કેટલા લોકોએ જમીન ખરીદી તે અંગે સરકારે આપ્યો છે જવાબ
જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir) માં બંધારણની કલમ 370 (Article 370) હટાવ્યાના બે વર્ષ બાદ, જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર આપતા અનેક અધિકારો અને નિયમો હવે સામાન્ય બની ગયા છે. હવે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય અન્ય કોઈ પણ રાજ્યની વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે. મંગળવારે સંસદમાં (Parliament) સરકારે જવાબ આપ્યો છે. સંસદમાં એવો સવાલ પુછાયો હતો કે, બંધારણની કલમ 370 દૂર કર્યા બાદ, જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં કેટલા લોકોએ જમીન ખરીદી છે
સરકારને પુછાયેલા આ પ્રશ્નનો જવાબ, રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન નિત્યાનંદ રાયે ( Nityanand Rai) આપતા કહ્યુ હતુ કે, 2019 બાદ અત્યાર સુધીમાં જમ્મુ કાશ્મીર રાજ્યના ના હોય તેવા માત્ર બે લોકોએ જમીન ખરીદી છે. તેમણે એ પણ કહ્યુ કે જમ્મુ કાશ્મીરમા જમીન ખરીદવા માટે હવે લોકો કે સરકારને કોઈ નિયંત્રિત કાર્યવાહીનો સામનો નહી કરવો પડે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીર રાજ્યમા બંધારણની કલમ 370 અને 35 એ લાગુ હતુ તેના કારણે જમ્મુ કાશ્મીર સિવાય અન્ય કોઈ રાજ્યના લોકો જમીન ખરીદી શકતા નહોતા. પરંતુ જ્યારથી જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો છે ત્યારથી જમીન ખરીદવાનો નિયમ દેશના અન્ય રાજ્યોની જેમ સામાન્ય થઈ ગયો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જમ્મી કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે.
2019ની પાંચ ઓગસ્ટે કેન્દ્ર સરકારે બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને અપાયેલ વિશેષ દરજ્જો, સમાપ્ત કરી દઈને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ( Ladakh) કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવી દીધુ છે. 370 હટાવ્યાના બે વર્ષે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજસિંહાએ ફિલ્મ શુટીગ માટેની નવી રાજ્યની નીતિ જાહેર કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં અન્ય પણ અનેક યોજનાઓ અમલમાં મૂકાઈ છે.
જમ્મુ કાશ્મીરમાં ફરીથી રાજકીય ગતીવિધી વધે, વિધાનસબાની ચૂંટણી યોજી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યાં છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જમ્મુ કાશ્મીર સ્થિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી.
આ પણ વાંચોઃ શું BHAVNAGAR, OKHA અને KANDLA દરિયાના પાણીમાં ડૂબી જશે ? જાણો શું કહે છે NASAનો રીપોર્ટ
આ પણ વાંચોઃ West Bengal: બળાત્કારને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે મમતા સરકાર, શુભેન્દુ અધિકારીએ લગાવ્યો આક્ષેપ