Gyanvapi Case: DUના પ્રોફેસર રતન લાલને જામીન મળ્યા, ‘શિવલિંગ’ને લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી
પ્રોફેસર રતન લાલે (Ratan Lal) જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર એક 'શિવલિંગ' શોધવાનો દાવો કર્યા પછી સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી. જે બાદ દિલ્હી પોલીસે ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદના આધારે તેની ધરપકડ કરી હતી.
દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજના ઇતિહાસના એસોસિયેટ પ્રોફેસર રતન લાલને (Ratan Lal) દિલ્હીની તીસ હજારી કોર્ટે જામીન આપ્યા છે. પ્રોફેસર રતન લાલે જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Maszid) સંકુલની અંદર એક ‘શિવલિંગ’ શોધવાનો દાવો કર્યા પછી સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી. જે બાદ દિલ્હી પોલીસે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાની ફરિયાદના આધારે તેની ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, રતન લાલ પર ભારતીય દંડ સંહિતાની કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને 295A (ઈરાદાપૂર્વક ધર્મનું અપમાન કરીને કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી) હેઠળ સાયબર પોલીસે ધરપકડ કરી છે.
દિલ્હીના વકીલે પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી
દિલ્હી સ્થિત વકીલની ફરિયાદના આધારે મંગળવારે રાત્રે રતન લાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. એડવોકેટ વિનીત જિંદાલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે રતન લાલે તાજેતરમાં શિવલિંગ પર અપમાનજનક અને ઉશ્કેરણીજનક ટ્વીટ કર્યું હતું.
AISA એ પ્રોફેસરની ધરપકડનો વિરોધ કર્યો હતો
ડાબેરી સંલગ્ન વિદ્યાર્થી સંગઠન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના કાર્યકરોએ આજે હિંદુ કોલેજના એસોસિયેટ પ્રોફેસર રતન લાલની ધરપકડના વિરોધમાં દિલ્હી યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની બહાર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થી કાર્યકર્તાઓ પ્લેકાર્ડ લઈને આવ્યા હતા જેમાં લખ્યું હતું, “અમારા શિક્ષકો પર હુમલો કરવાનું બંધ કરો, લોકતાંત્રિક અવાજોને રોકવાનું બંધ કરો અને પ્રોફેસર રતન લાલને મુક્ત કરો.” પ્રદર્શન દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, જિલ્લા પોલીસ ઉપરાંત મહિલા પોલીસ સહિત બાહ્ય સુરક્ષા દળની ચાર કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.
મસ્જિદની અંદર શિવલિંગ શોધવાનો દાવો
સોમવારે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનો વીડિયોગ્રાફી સર્વે પૂર્ણ થયા બાદ, હિન્દુ પક્ષના વકીલોએ દાવો કર્યો હતો કે મસ્જિદના વુઝુખાનાની અંદરથી 12 ફૂટનું ‘શિવલિંગ’ મળી આવ્યું છે. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે વારાણસી પ્રશાસનને આ વિસ્તારને સુરક્ષિત અને સીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.