રાજૌરીમાં આતંકી હુમલા બાદ સુરક્ષા વધારવા સરકારનો નિર્ણય, CRPF ના વધારાના 1800 જવાનોને મોકલાશે પુંછ-રાજૌરી
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના અપર ડાંગરી ગામમાં ગત રવિવારે સાંજે અને સોમવારે સવારે થયેલા બે અલગ-અલગ આતંકી હુમલામાં છ લોકો માર્યા ગયા હતા જેમા બે બાળકોનો પણ સમાવેશ થતો હતો. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જમ્મુ અને કાશ્મીરમાં વધારાની 18 કંપનીઓને તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. રાજૌરી જિલ્લામાં થયેલા ગત રવિવારે અને સોમવારે થયેલા આતંકી હુમલા બાદ આવું કરવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) આ જવાનોને પૂંછ અને રાજૌરી જિલ્લામાં તહેનાત કરવા જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બે આતંકવાદી ઘટનાઓમાં બે સગીર પિતરાઈ સહિત કુલ છ લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ, CRPFની 8 કંપનીઓ ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં મોકલવામાં આવશે. જ્યારે CRPFની અન્ય 10 કંપનીઓ દિલ્લીથી મોકલવામાં આવી રહી છે.
આતંકી હુમલા બાદ નિર્ણય
સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી હુમલાઓ વિશે ગુપ્ત માહિતીની વચ્ચે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આદેશને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના અપર ડાંગરી ગામમાં રવિવારે રાત્રે અને સોમવારે સવારે થયેલા બે અલગ-અલગ આતંકી હુમલામાં બે બાળકો સહિત કુલ છ લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ આતંકી હુમલાની ઘટના બાદ આ વિસ્તારના લોકોએ સુરક્ષાની માંગ સાથે વિરોધ કર્યો હતો. રાજૌરીમાં તાજેતરના આતંકવાદી હુમલામાં, સોમવારે સવારે ડાંગરી ગામમાં શંકાસ્પદ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ પછી બે બાળકો માર્યા ગયા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા. ગત 16 ડિસેમ્બરે પણ આર્મી કેમ્પની બહાર બે લોકોની હત્યા થયા બાદ છેલ્લા બે સપ્તાહમાં રાજૌરી જિલ્લામાં નાગરિકોની હત્યાની આ ત્રીજી ઘટના સામે છે. હુમલાના પગલે રાજૌરી જિલ્લામાં ભયનો માહોલ ફેલાયેલો છે.
મૃતકના પરિવારજનોને 10 લાખનું વળતર
આ આતંકવાદી હુમલાઓ પછી, સેના અને CRPF એ અપર ડાંગરી ગામમાં હુમલા પાછળ બે “સશસ્ત્ર માણસો” ને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ ફાયરિંગની ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની સહાય અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.
એલજીએ જાહેરાત કરી હતી કે ઘાતકી હુમલામાં માર્યા ગયેલા દરેક નાગરિકના પરિવારને 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની સહાય અને સરકારી નોકરી આપવામાં આવશે. ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. એલજી જેકે ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘાયલોને સઘન સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અપર ડાંગરી ગામની મુલાકાત પણ લીધી છે. આ ગામ સહીતના કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.