યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવવામાં સરકાર કોઈ કસર નહી છોડેઃ PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું, "અમે યુક્રેનની આસપાસના દેશોમાંથી NGO અને ભારતીય મૂળના સંગઠનોને પણ 'મોબિલાઈઝ' કર્યા છે. આપણુ દૂતાવાસ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને યુદ્ધ શરૂ થયું તેના ઘણા સમય પહેલાથી તેમને 'માર્ગદર્શન' કરે છે.
યુક્રેન (Ukraine) પર રશિયાના (Russia) હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બુધવારે ‘હિન્દુસ્તાન’ સાથે ખાસ વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘યુદ્ધના આ સંકટમાં ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવા માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. યુદ્ધની પરિસ્થિતિમાં આપણાં બાળકોને જે મુશ્કેલીઓ સહન કરવી પડી હતી તેનાથી પણ અમે વાકેફ છીએ. દરેક ભારતીયને સુરક્ષિત ઘર વાપસી મળે તે સુનિશ્ચિત કરવા અમે કોઈ કસર છોડીશું નહીં.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘હવામાનને કારણે ઘણી જગ્યાએ મુશ્કેલીઓ વધી છે. આ જ કારણ છે કે સરકારનો પહેલો પ્રયાસ એ હતો કે ભારતીય નાગરિકો અને આપણા વિદ્યાર્થીઓ એવા વિસ્તારોમાંથી બહાર આવે, જ્યાં યુદ્ધની વધુ અસર હોય અને સુરક્ષિત સ્થળોએ પહોંચે. સરકારના તમામ વિભાગો સંપૂર્ણ સંકલન સાથે આ મિશનમાં જોડાયેલા છે. આ જ કારણ છે કે જ્યારે આપણા બાળકો યુદ્ધની વચ્ચેથી ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમના પરિવારજનોમાં પણ રાહતની લાગણી અનુભવી શકાય છે.
અન્ય એક પ્રશ્નના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ કે જેઓ હજુ પણ ત્યાં છે તેમના પરત ફરવા માટે અમે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ. અમે અમારા ચાર મંત્રીઓને સમગ્ર ઝુંબેશનું ‘સંકલન’ કરવા અને શક્ય તમામ મદદ કરવા માટે મોકલ્યા છે. યુક્રેનમાં ફસાયેલા બાળકો જ્યારે જુએ છે કે ખુદ ભારત સરકારના મંત્રીઓ તેમને લેવા પહોંચ્યા છે ત્યારે તેમની ચિંતા ઓછી થઈ ગઈ. એક રાહતની લાગણી છે કે હા, હવે અમે અમારા ઘરે પહોંચીશું.
યુક્રેન સાથે વાત કરીને ફ્લાઈટની સંખ્યા વધારાઈ
આ મુદ્દાના ઊંડાણમાં જતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “અમે યુક્રેનની આસપાસના દેશોમાંથી NGO અને ભારતીય મૂળના સંગઠનોને પણ ‘મોબિલાઈઝ’ કર્યા છે. આપણુ દૂતાવાસ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને યુદ્ધ શરૂ થયું તેના ઘણા સમય પહેલાથી તેમને ‘માર્ગદર્શન’ કરે છે. લડાઈ શરૂ થઈ તે પહેલાં, કોવિડ 19 સંબંધિત ‘એર બબલ’ને કારણે ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઈટ્સની સંખ્યા પર ‘કેપ’ હતી. પરંતુ સંઘર્ષ વધે તે પહેલા, અમે યુક્રેનિયન સત્તાવાળાઓ સાથે કામ કર્યું અને આ પ્રતિબંધો હળવા કર્યા જેથી ફ્લાઇટની સંખ્યા વધી શકે. આ તમામ પ્રયાસોનું પરિણામ એ છે કે અમે લગભગ 12,000 ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં સફળ થયા.
મોદીએ કહ્યું- વિદ્યાર્થીઓના પરિવારજનોના સંપર્કમાં છે સરકાર
અંતમાં, વડા પ્રધાને કહ્યું, ‘નિયમિત ફ્લાઇટ્સ ઉપરાંત, અમે આપણા નાગરિકોની પાછા લાવવા માટે ભારતીય વાયુસેનાને પણ આ કામગીરીમાં જોડ્યા છે. આગામી ત્રીસ દિવસમાં લગભગ ત્રીસ ફ્લાઇટ્સ ભારતીયોને પરત લાવશે. મેં અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે કે સરકાર હંમેશા તમામ વિદ્યાર્થીઓના પરિવારના સંપર્કમાં છે. આ જ કારણ છે કે કલેક્ટરથી લઈને મંત્રી સુધી, સરકાર હજારો પરિવારો સુધી પહોંચીને તેમની ચિંતાઓને દૂર કરીને તેમને આશ્વાસન આપવા સાથે ઊભી છે.
આ પણ વાંચોઃ
રશિયાએ દુનિયાને આપી પરમાણુ યુદ્ધની ધમકી, વિદેશપ્રધાન લાવરોવે કહ્યું- ત્રીજુ વિશ્વ યુદ્ધ ખુબ વિનાશકારી હશે
આ પણ વાંચોઃ