કેન્સર-ડાયાબિટીસ, હૃદય રોગના દર્દીઓ માટે સારા સમાચાર, કેન્દ્ર સરકાર દવાના ભાવમાં કરી શકે છે ભારે ઘટાડો
આ દવાઓમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને અન્ય ગંભીર રોગો માટેની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી સારવાર લઈ રહેલા લોકોને ઘણી રાહત મળશે.
કેન્દ્ર સરકાર (central government) દેશમાં લોકોને વધુ સારી અને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સતત કામ કરી રહી છે. હોસ્પિટલોમાં સુવિધા વધારવાની સાથે સાથે જેનરિક દવાઓ (Generic medicines) પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દરમિયાન સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આગામી 15 ઓગસ્ટે ગંભીર રોગોની સારવારમાં આપવામાં આવતી દવાઓની કિંમતમાં ઘટાડો કરી શકે છે. આ દવાઓમાં કેન્સર (cancer), ડાયાબિટીસ ( diabetes), હૃદય રોગ અને અન્ય ગંભીર રોગોની દવાઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી સારવાર લઈ રહેલા લાખ્ખો લોકોને ઘણી રાહત મળશે.
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ યોજના અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ અધિકારીઓનું કહેવું છે કે સરકાર દવાઓની ઊંચી કિંમતોથી ચિંતિત છે. તે તેને ઘટાડવા માંગે છે.
કિંમતો 70 ટકા સુધી ઘટાડી શકાય છે!
સૂત્રોનું કહેવું છે કે જો સરકાર દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તોને આખરી નિર્ણય બાદ મંજૂર કરવામાં આવે તો ગંભીર રોગોમાં વપરાતી મોટાભાગની દવાઓના ભાવમાં 70 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ સાથે, સરકાર નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM), 2015ને પણ અપડેટ કરવા માંગે છે, જેથી હાલમાં ઉપયોગમાં લેવાતી દવાઓને પણ તેમાં સામેલ કરી શકાય.
ઊંચા વેપાર માર્જિનને પણ ઘટાડવાનું વિચારી રહ્યું છે
સરકાર દર્દીઓ દ્વારા લાંબા સમયથી લેવામાં આવતી દવાઓના ઊંચા ટ્રેડ માર્જિનને ઘટાડવાનું પણ વિચારી રહી છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 22 જુલાઈએ વિવિધ ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમની સાથે અંતિમ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે કેટલીક દવાઓમાં ટ્રેડ માર્જિન 1000 ટકાથી વધુ છે. હાલમાં, દવાના ભાવ નિયમનકાર NPAA એ NLEM માં સમાવિષ્ટ 355 દવાઓની કિંમતોમાં ઘટાડો કર્યો છે.