G20 Extraordinary Leaders’ Summit અફઘાનિસ્તાનના મુદ્દે મંગળવારે યોજાનાર G20ની સમિટમાં PM મોદી વરચ્યુલ રીતે લેશે ભાગ
પીએમ મોદી ( PM મોદી), આવતીકાલ 12 ઓક્ટોબરને મંગળવારે અફઘાનિસ્તાન (Afghanistan) પર G20 Extraordinary Leaders’ Summitમાં ભાગ લેશે. વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓની અસાધારણ સભાની જાહેરાત પ્રથમ વખત 29 સપ્ટેમ્બરે ઇટાલીના વડા પ્રધાન મારિયો દ્રગી દ્વારા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (12 ઓક્ટોબર) અફઘાનિસ્તાન (Afghanistan) પર આગામી G20 સમિટમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. વિદેશ મંત્રાલય (MEA) એ સોમવારે કહ્યું કે પીએમ મોદી મંગળવારે અફઘાનિસ્તાન પર ગ્રુપ ઓફ 20 (G20) અસાધારણ નેતાઓના સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ઇટાલીના રાષ્ટ્રપતિના આમંત્રણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી સમિટમાં ભાગ લેશે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, બેઠકના એજન્ડામાં યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન રાષ્ટ્રમાં માનવીય જરૂરિયાતો અને મૂળભૂત સેવાઓ અને આજીવિકાની પહોંચ અંગેની ચર્ચાનો સમાવેશ થશે, જે આ વર્ષે ઓગસ્ટમાં તાલિબાનોએ કબજે કરી હતી. MEA એ કહ્યું કે એજન્ડામાં સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈ અને ગતિશીલતા, સ્થળાંતર અને માનવાધિકાર પરની વાતચીતનો પણ વિશેષ સમાવેશ થશે.
વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓની અસાધારણ સભાની જાહેરાત પ્રથમ વખત 29 સપ્ટેમ્બરે ઇટાલીના વડા પ્રધાન મારિયો દ્રગી દ્વારા કરવામાં આવી હતી. 30 અને 31 ઓક્ટોબરે રોમમાં જી -20 નેતાઓના શિખર સંમેલનના અઠવાડિયા પહેલા આ બેઠક થશે.
વૈશ્વિક સમાચાર એજન્સીના એક અહેવાલ મુજબ, દ્રગીએ તાજેતરમાં જ રશિયાના વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને ચીનના શી જિનપિંગ સહિતના વૈશ્વિક નેતાઓ સાથે એક ખાસ બેઠક યોજી હતી. જેમાં યુદ્ધગ્રસ્ત આફઘાનિસ્તાનમાં સંકટનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડી કાઢવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. માનવાધિકારોની ચિંતા, ખાસ કરીને મહિલાઓ અને લઘુમતીઓ, ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ હેઠળ વૈશ્વિક સ્તરે એક મોટી ચિંતા છે. યુરોપીયન દેશોએ, અફઘાનિસ્તાનની કટોકટી અંગે પોતાની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે પરપ્રાંતિયોના મોટા પાયે પ્રવાહનું જોખમ પણ વધ્યું છે.
દ્રગીએ પત્રકારોને કહ્યું, “આપણે જોવું પડશે કે G20 દેશો વચ્ચે સામાન્ય ઉદ્દેશો છે કે નહીં … અમે એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં આપણે ફક્ત જીવન બચાવવાની ચિંતા કરવાની જરૂર છે.” તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ અફઘાનિસ્તાનને આતંકવાદીઓનું આશ્રયસ્થાન બનતા અટકાવવા માટે વ્યૂહરચના ઘડવી જોઈએ.