પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને 18 દિવસ બાદ એઈમ્સમાંથી મળી રજા, તબિયતમાં આવ્યો સુધારો
એઈમ્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાનની હાલત સ્થિર છે અને સારવારમાં સુધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મનમોહન સિંહના સારા સ્વાસ્થ્ય અને ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી હતી.
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને (Dr.Manmohan Singh) સારવાર બાદ રવિવારે સાંજે એઈમ્સ (AIIMS) દિલ્હીમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 13 ઓક્ટોબરે અચાનક તબિયત લથડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહનસિંહને એઈમ્સના કાર્ડિયો-ન્યૂરો કેન્દ્રના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે ડૉ. નીતિશ નાઈકના નેતૃત્વમાં હ્રદય રોગ નિષ્ણાંતોની ટીમની દેખરેખમાં હતા.
મનમોહન સિંહને તાવ આવ્યા બાદ કમજોરી લાગી રહી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. દાખલ થયાના એક દિવસ બાદ જ એઈમ્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાનની હાલત સ્થિર છે અને સારવારમાં સુધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મનમોહન સિંહના સારા સ્વાસ્થ્ય અને ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ એઈમ્સ જઈને મનમોહન સિંહની ખબર પુછી હતી. તેમની સાથે મુલાકાત બાદ માંડવિયાએ ટ્વીટ કરી કહ્યું હતું તેમને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની મુલાકાત લીધી અને ખબર પુછી અને ઝડપી સાજા થવાની કામના કરી.
ત્યારબાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એઈમ્સમાં દાખલ મનમોહન સિંહ સાથે મુલાકાત બાદ તેમની તસ્વીર શેયર કરીને દેશના પૂર્વ વડાપ્રધાનના દરેક નૈતિક મૂલ્ય અને ગોપનીયતાનું ઉલ્લંઘન કર્યું છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું હતું કે “ભાજપ માટે બધું જ ‘ફોટો ઓપ’ છે. દેશના સ્વાસ્થ્ય મંત્રીને શરમ આવે છે, જેમણે પૂર્વ વડાપ્રધાનને AIIMSમાં દાખલ કરાવવાને પીઆર સ્ટંટ બનાવ્યો હતો. આ દરેક નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન છે, ભૂતપૂર્વ વડાપ્રધાનની ગોપનીયતાનું ઉલ્લંઘન છે, સ્થાપિત પરંપરાઓનું અપમાન છે. માફી માગો.”
એપ્રિલમાં કોરોનાથી થયા હતા સંક્રમિત
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ કોરોના વાઈરસની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા. પૂર્વ વડાપ્રધાન 19 એપ્રિલે કોરોના પોઝિટીવ આવ્યા હતા, ત્યારબાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 89 વર્ષના મનમોહન સિંહ કોરોનાની જંગ જીતવામાં સફળ રહ્યા હતા. મનમોનહ સિંહ હાલમાં રાજસ્થાનથી રાજ્યસભા સભ્ય છે, તે 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા. વર્ષ 2009માં એઈમ્સમાં તેમની બાયપાસ સર્જરી થઈ હતી.
આ પણ વાંચો: આ દેશમાં ઈંધણના અભાવે સ્થિતિ બની વધુ ગંભીર, હોસ્પિટલો થઈ રહી છે બંધ, દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં
આા પણ વાંચો: યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર સ્થળ પર ગંગાજળ અને કાબુલ નદીનું જળ અર્પણ કર્યું