Andhra Pradesh: ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ, અનેક જિલ્લામાં રેલવે અને રોડ રસ્તાઓનો સંપર્ક તૂટ્યો
આંધ્રપ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો લાપતા હોવાના અહેવાલો પણ છે. રાજ્યમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં પેન્ના નદીના પૂર (Flood)ના કારણે સર્જાયેલી તબાહીને કારણે રાજ્યને દક્ષિણ અને પૂર્વથી જોડતી મુખ્ય રેલ અને રોડ માર્ગ સાથે સંપર્ક રવિવારે તૂટી (Road Connectivity Broken) ગયો છે. પાડુગુપાડુમાં રસ્તા જળમગ્ન થયા બાદ SPS નેલ્લોર જિલ્લામાં ચેન્નઈ-કલકતા રાષ્ટ્રીય રાજમાર્ગ-16ને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. પાડુગુપાડુ ખાતે રેલવે ટ્રેક પર પૂરના પાણી ભરાઈ (Heavy Rains) જવાને કારણે ચેન્નાઈ-વિજયવાડા રૂટ પર ઓછામાં ઓછી 17 એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવી પડી હતી. વધુ ત્રણ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે SPS નેલ્લોર જિલ્લામાં સોમાસિલા જળાશયમાંથી બે લાખ ક્યૂસેકથી વધુ પૂરનું પાણી વહી ગયું, જેનાથી આ વિસ્તાર ડૂબી ગયો હતો, જેથી કોવુરુ ખાતે નેશનલ હાઈવે-16 પણ બ્લોક થઈ ગયો છે. ત્યારબાદ નેલ્લોર અને વિજયવાડા વચ્ચેના NH-16 પરનો ટ્રાફિક સ્થગિત કરવામાં આવ્યો હતો, જેના કારણે સેંકડો વાહનો કેટલાક કિલોમીટર સુધી ફસાયા હતા. બસ સેવા ખોરવાઈ જતાં સેંકડો મુસાફરો નેલ્લોર આરટીએસ બસ સ્ટેશન પર અટવાયા હતા.
અનેક શહેરોમાં પૂરના પાણી ઘૂસી ગયા
અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીકાલહસ્તીથી આવતા વાહનોને ટોટેમ્બેડુ ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યા હતા અને પમુરુ અને દરસી થઈને વાળવામાં આવ્યા હતા. કડપા જિલ્લામાં પાપાગ્ની નદી પરનો પુલ કમલાપુરમ ખાતે તૂટી ગયો હતો, જેના કારણે કડપા અને અનંતપુરમુ જિલ્લાઓ વચ્ચેનો માર્ગ સંપર્ક તૂટી ગયો હતો.
તેમણે કહ્યું કે વેલિગલ્લુ જળાશયમાંથી આવેલા પૂરને કારણે પુલ તૂટી ગયો હતો. કડપા શહેરમાં રવિવારની વહેલી સવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી કારણ કે તેમાં રહેતા લોકો ઘટનાની થોડી મિનિટો પહેલા સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા. બીજા માળે ફસાયેલી માતા અને એક બાળકને પોલીસ અને ફાયર ફાઈટરોએ બચાવી લીધા હતા.
પૂરગ્રસ્ત પરિવારોને ચોખા, કઠોળ, ખાદ્યતેલ, ડુંગળી અને બટાટા મફતમાં મળશે
આંધ્ર પ્રદેશ સરકારે ચિત્તૂર, નેલ્લોર, કુડ્ડાપાહ અને અનંતપુર જિલ્લામાં પૂરની સ્થિતિ પર સમીક્ષા બેઠક પછી, ચોખા, કઠોળ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાટા જેવી આવશ્યક ચીજવસ્તુઓ તમામ પૂર પ્રભાવિત પરિવારોને વિનામૂલ્યે વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: ચીનને મોટો ઝટકો, પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં જોરદાર વિરોધ પ્રદર્શન, CPEC વિરૂદ્ધ રસ્તાઓ પર ઉતર્યા લોકો