આસામ રાઈફલ્સ કેમ્પ પર ઉગ્રવાદીઓએ રોકેટ-ગ્રેનેડથી કર્યો હુમલો, સુરક્ષાદળોએ અરુણાચલ પ્રદેશ-નાગાલેન્ડમાં આતંકીઓને ઘેર્યા
સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે પહેલા અરુણાચલ પ્રદેશના પંગસૌ પાસ પાસે અથડામણ થઈ હતી. જ્યારે ફાયરિંગની બીજી ઘટના નાગાલેન્ડના નોકલક જિલ્લામાં બની હતી.
પૂર્વોત્તર ભારતના બે અલગ-અલગ રાજ્યોમાં આજે ભારત-મ્યાનમાર સરહદ (India-Myanmar Border) પર આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. ઉત્તરપૂર્વના આતંકવાદી જૂથોએ (Northeast terrorist groups) સ્વતંત્રતા દિવસના બહિષ્કારની હાકલ કર્યાના દિવસો બાદ આ ઘટના બની છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે પ્રથમ અથડામણ અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) પંગસૌ પાસ પાસે થઈ હતી. જ્યારે ફાયરિંગની બીજી ઘટના નાગાલેન્ડના (Nagaland) નોકલક જિલ્લામાં બની હતી. સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે આતંકવાદીઓએ મંગળવારે સવારે તિરાપ ચાંગલાંગ વિસ્તારમાં ભારત-મ્યાનમાર સરહદ પારથી આસામ રાઇફલ્સના સૈનિકો (Soldiers of the Assam Rifles) પર ગોળીબાર કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે ‘નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ’ (NSCN-KYA) અને ‘યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ’ (ULFA-I) ના આતંકવાદીઓના જૂથે આસામ રાઈફલ્સ કેમ્પ પર હુમલો કર્યો હતો. કેમ્પ પર હુમલો કરવા માટે આતંકવાદીઓએ રોકેટથી ચાલતા ગ્રેનેડ અને લાથોડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. જે બાદ આસામ રાઈફલ્સના જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને આતંકીઓ પર ગોળીબાર કર્યો. એક સૂત્રએ જણાવ્યું કે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું
સરકારી નિવેદન અનુસાર, આ ઘટનામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર ઘાયલ થયો છે. જેમના હાથમાં સામાન્ય ઈજા થઈ છે. આ હુમલાઓને અંજામ આપનારા આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળોએ ભારત-મ્યાનમાર સરહદ નજીક એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. તે જાણીતું છે કે પંગસૌ પાસ અરુણાચલ પ્રદેશના સૌથી દૂરના વિસ્તારોમાંનો એક છે. ઉત્તરપૂર્વના મોટાભાગના બળવાખોર જૂથોએ મ્યાનમારના જંગલોમાં તેમની છાવણીઓ બનાવી છે.
નાગાલેન્ડમાં પણ સૈનિકો પર ગોળીબાર
ગોળીબારની બીજી ઘટના નાગાલેન્ડના નોકલાક જિલ્લામાં બની હતી, જ્યાં NSCN-KYA અને ULFA-I આતંકવાદીઓએ સરહદી ચોકી પર આસામ રાઇફલ્સના સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. નાગાલેન્ડ પોલીસના એક વરિષ્ઠ અધિકારી સંદીપ તમગડગેએ જણાવ્યું કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ULFA (I) એ 75મા સ્વતંત્રતા દિવસના બહિષ્કારનું એલાન આપ્યું હતું. આ સંગઠને લોકોને સ્વતંત્રતા દિવસ સંબંધિત તમામ ઉજવણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની વિનંતી કરી હતી. નોંધનીય છે કે ગયા વર્ષે આ સંસ્થા દ્વારા લોકોને આવી કોઈ અપીલ કરવામાં આવી ન હતી અને 1996 પછી આ પ્રથમ વખત બન્યું હતું.