Excise policy : EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો, દિલ્લી સહિત 30 સ્થળોએ દરોડા
EDના સૂત્રોએ માહિતી આપી છે કે રાજધાની દિલ્લી સિવાય યુપીની રાજધાની લખનઉ, હરિયાણાના ગુરુગ્રામ, ચંદીગઢ, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોર સહિત 30 સ્થળો પર EDના દરોડાની કાર્યવાહી ચાલુ છે.
દિલ્લીની આબકારી નીતિમાં (Excise policy) કથિત કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગનો (Money laundering) કેસ નોંધ્યો છે. આ અંગે દિલ્લી સહિત લગભગ 30 જગ્યાએ EDના દરોડા ચાલી રહ્યા છે. જો કે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) પર દરોડા પાડવામાં આવી રહ્યા નથી. EDના સૂત્રોએ માહિતી આપી છે કે રાજધાની દિલ્લી સિવાય યુપીની રાજધાની લખનઉ, હરિયાણાના ગુરુગ્રામ, ચંદીગઢ, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોર સહિત 30 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડને લઈને ભાજપ AAP સરકાર પર પ્રહારો કરી રહી છે.
સમીર મહેન્દ્રુના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ EDના 150 અધિકારીઓ દેશના વિવિધ 30 સ્થળો પર દરોડા પાડી રહ્યા છે. EDએ આરોપી સમીર મહેન્દ્રુના સ્થાન પર પણ દરોડા પાડ્યા છે, જેઓ મેસર્સ ઈન્ડો સ્પિરિટ્સના MD છે. તેણે મેસર્સ રાધા ઇન્ડસ્ટ્રીઝના રાજેન્દ્ર પ્લેસ ખાતે યુકો બેંકના ખાતામાં એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. EDની ટીમ સવારે જ અહીં પહોંચી હતી.
EDએ CBI પાસેથી આ કેસ સાથે સંબંધિત ફાઈલો લીધી હતી
નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડના સંદર્ભમાં 19 ઓગસ્ટના રોજ સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા પછી ઈડીએ સીબીઆઈ પાસેથી સિસોદિયા કેસની ફાઈલ પણ લઈ લીધી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ટૂંક સમયમાં આ કેસમાં ED પણ દાખલ થઈ શકે છે. સીબીઆઈ દ્વારા આ મામલામાં કુલ 15 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું નામ પહેલા નંબર પર છે.
આબકારી નીતિ મામલે AAP-BJP સામસામે
ઉલ્લેખનીય છે કે, ભાજપ આમ આદમી પાર્ટીની સરકારની નવી દારૂની નીતિ પર પ્રહારો કરી રહી છે. જોકે, આ પોલિસી પાછી ખેંચી લેવામાં આવી છે. આને લઈને બંને પક્ષો સામસામે છે. કેજરીવાલ સરકારને બરતરફ કરવાની માંગ કરવા માટે, આજે વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીના નેતૃત્વમાં ભાજપના તમામ ધારાસભ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળશે અને તેમને મેમોરેન્ડમ આપશે. તો બીજી બાજુ, ભાજપે દારૂ કૌભાંડના વિરોધમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને બરતરફ કરવાની માંગ સાથે સહી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.