EDની મોટી કાર્યવાહી, નેશનલ હેરાલ્ડની ઓફિસ કરી સીલ
27 જુલાઈએ હેરાલ્ડ કેસમાં EDએ સોનિયા ગાંધીની ત્રણ કલાક સુધી ત્રીજી પૂછપરછ કર્યા બાદ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ સામે કોંગ્રેસના નેતાઓએ મોટાપાયે વિરોધ કર્યો હતો.
EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસ (National Herald Office) પર મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કરી દીધી છે. તેમજ એજન્સીએ પરવાનગી વગર ઓફિસ ખોલવાની ના પાડી દીધી છે. આ સાથે કોંગ્રેસ કાર્યાલયની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ મુખ્યાલય અને ત્યાંથી જતા રસ્તાઓ પર પણ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. આ સિવાય રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં રાજધાની દિલ્હીમાં 12 સ્થળો અને દિલ્હીની બહાર અન્ય સ્થળોએ દરોડા પાડ્યા બાદ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે, જેના સંબંધમાં EDએ તાજેતરમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી હતી.
Delhi | The Enforcement Directorate seals the National Herald office, instructing that the premises not be opened without prior permission from the agency.
— Tv9 Gujarati (@tv9gujarati) August 3, 2022
સોનિયા ગાંધીની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી
27 જુલાઈએ હેરાલ્ડ કેસમાં EDએ સોનિયા ગાંધીની ત્રણ કલાક સુધી ત્રીજી પૂછપરછ કર્યા બાદ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ સામે કોંગ્રેસના નેતાઓએ મોટાપાયે વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ જાતે પણ રસ્તા પર આવીને રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. 26 જુલાઈએ EDએ સોનિયા ગાંધીની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પહેલા પણ સોનિયા ગાંધીને બે કલાક સુધી ઈડી ઓફિસમાં તપાસ એજન્સીના સવાલોનો સામનો કરવો પડ્યો હતો.
હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવાર આરોપી
નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નાણાકીય ગેરરીતિઓની તપાસ ચાલી રહી છે. વર્ષ 2013માં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં ઈડીએ કેસ નોંધ્યો હતો અને આવકવેરા વિભાગની તપાસના આધારે 9 મહિના પહેલા ટ્રાયલ કોર્ટની સંજ્ઞાન લીધા બાદ તપાસ શરૂ કરી હતી. અરજદારનો આરોપ હતો કે નેશનલ હેરાલ્ડ અખબાર છાપતી કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની અસ્કયામતો છેતરપિંડીથી યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી 38 ટકા હિસ્સો ધરાવે છે.