કોરોના દરમિયાન જ્યારે દેશને જરૂર હતી ત્યારે તાલીમ અધવચ્ચે છોડીને ફરજ પૂરી કરી, હવે આ ડોક્ટરો તાલીમ પૂર્ણ કરી જોડાયા ITBPમાં
કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન દિલ્હીની વિશેષ કોવિડ-19 હોસ્પિટલમાં સેવા આપતા 38 ડોક્ટરો શનિવારે ઔપચારિક પાસિંગ આઉટ પરેડ બાદ ITBPમાં જોડાયા હતા.
કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન દિલ્હીની વિશેષ કોવિડ-19 હોસ્પિટલમાં સેવા આપતા 38 ડોક્ટરો શનિવારે ઔપચારિક પાસિંગ આઉટ પરેડ બાદ ITBPમાં જોડાયા હતા. આ એ જ ડોકટરો છે જેઓ કોરોના મહામારી દરમિયાન લોકોની સારવારમાં રોકાયેલા હતા. તાલીમ વચ્ચે તેમની જરૂર હતી જેથી તેઓ અધવચ્ચે જ લોકોની સારવારમાં જોડાઈ ગયા હતા. હવે તેમણે પોતાની તાલીમ પૂર્ણ કરી છે અને ITBPનો ભાગ બની ગયો છે. ITBP ભારત-ચીન સરહદ પર સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે.
ITBPના પ્રવક્તાએ કહ્યું કે, આ ડોક્ટરોને 24 સપ્તાહની સંપૂર્ણ કોમ્બેટ તાલીમ પૂર્ણ કર્યા બાદ જ ITBPમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ ડોકટરોની આસિસટન્ટ કમાન્ડન્ટની રેન્ક પર ભરતી કરવામાં આવી હતી અને તેઓ હવે ITBP માં તબીબી અધિકારી તરીકે સેવા આપશે. ITBPના ડાયરેક્ટર જનરલ સંજય અરોરાએ અર્ધલશ્કરી દળોની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં આ અધિકારીઓની પાસિંગ આઉટ પરેડની સલામી લીધી હતી.
આ તબીબોમાં 14 મહિલા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તાલીમ દરમિયાન આ ડોકટરોને વ્યૂહરચના, હથિયાર વ્યવસ્થાપન, ગુપ્ત માહિતી ભેગી કરવા, ફિલ્ડ એન્જિનિયરિંગ, નકશા વાંચન અને માનવાધિકાર સહિત ઘણા વિષયો વિશે કહેવામાં આવ્યું હતું.
જ્યારે દેશને તેની જરૂર હતી, ત્યારે અધવચ્ચે જ તાલીમ છોડીને ફરજ બજાવી
ITBP ના પ્રવક્તાએ કહ્યું કે, જ્યારે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન જરૂરિયાત ઉભી થઈ હતી ત્યારે આ ડોક્ટરોએ દિલ્હીના સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરમાં તેમની સેવાઓ પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે, આ સમય સુધી આ ડોકટરોએ તેમની તાલીમ પણ પૂરી કરી ન હતી. પરંતુ તેઓ આગળ આવ્યા અને જરૂરિયાતના સમયે સેવાઓ આપી. તેમણે વધુમાં કહ્યું કે, આ ડોક્ટરોએ તે મુશ્કેલ સમયમાં અથાક મહેનત કરી. તેમણે કહ્યું કે, જ્યારે દેશ કોરોનાની પ્રથમ અને બીજી લહેરની ચપેટમાં હતો, ત્યારે આ ડોકટરોએ કોરોનાવાયરસથી સંક્રમિત 13 હજાર લોકોની સારવાર કરી હતી.
આ કામ પૂરું કર્યા પછી આ ડોક્ટર અધિકારીઓ જુલાઈમાં એકેડમીમાં પાછા ફર્યા અને તેમની તાલીમ પૂર્ણ કરી. ITBPના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ ઉત્કૃષ્ટ સેવા માટે, તાલીમાર્થી અધિકારીઓને મહાનિર્દેશક પ્રશંસા અને નિશાનીથી નવાજવામાં આવ્યા હતા. જે સામાન્ય રીતે કેટલાક વર્ષોની વિશિષ્ટ સેવા પછી આપવામાં આવે છે.”