Mucormycosis: IIT હૈદરાબાદે બનાવી બ્લેક ફંગસની દવા, જાણો 60 mg ની કેટલી છે કિંમત
IIT હૈદરાબાદની એક રિસર્ચર ટીમે બ્લેક ફંગસના (Black Fungus) ઈલાજમાં વપરાતું કારગર એક સોલ્યુશન શોધી કાઢ્યું છે. જેને મોઢા દ્વારા દર્દીને આપવામાં આવે એમ છે. આ દવા એક ટેબ્લેટ છે.
દેશમાં સ્વાસ્થ્ય લક્ષી મુસીબતો ઓછી થવાનું નામ નથી લઇ રહી. કોરોનાની મહામારીના સમયમાં અન્ય બીમારીઓ પણ વાર કરી રહી છે. આવામાં મ્યુકર માઈકોસીસે (Mucormycosis) ડરનો મોટો હાવ ઉભો કર્યો છે. અહેવાલો અનુસાર આ સમસ્યાનો ઈલાજ ખુબ મોંઘો છે. અને એટલું જ નહીં આની સારવારમાં વપરાતા ઇન્જેક્શન પણ ખુબ મુશ્કેલીથી મળે છે.
આવા હાહાકારના સમયમાં એક રાહતના સમાચાર હૈદરાબાદથી આવ્યા છે. IIT હૈદરાબાદની એક રિસર્ચર ટીમે બ્લેક ફંગસના (Black Fungus) ઈલાજમાં વપરાતું કારગર એક સોલ્યુશન શોધી કાઢ્યું છે. જેને મોઢા દ્વારા દર્દીને આપવામાં આવે એમ છે. આ દવા એક ટેબ્લેટ છે.
કેટલી છે કિંમત?
IIT એ શનિવારે એક પ્રકાશનમાં કહ્યું હતું કે 60 મિલિગ્રામ દવા દર્દી માટે અનુકૂળ છે અને ધીમે ધીમે શરીરમાં નેફ્રોટોક્સિસિટી (કિડની પર દવાઓ અને રસાયણોની આડઅસર) ઘટાડે છે. મોઢા દ્વારા લેવામાં આવતી આ એક ટેબ્લેટ છે. જે માત્ર 60 મિલીગ્રામની છે. અને તેની કિંમત માત્ર 200 રૂપિયા જ છે.
બે વર્ષથી આ રિસર્ચર આ રિસર્ચ પર કામ કરી રહ્યો હતો, હવે તેને તેના સંશોધન પર પૂરો વિશ્વાસ છે. તેનું માનવું છે કે આને મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે આપી શકાય એમ છે. આ સોલ્યુશનની એક ખાસ વાત છે કે આ ખુબ સસ્તું છે.
બે વર્ષના રિસર્ચ બાદ મળી સિદ્ધિ
ચાલો જણાવી દઈએ કે આ રિસર્ચ પર કોણે કોણે કામ કર્યું છે. પ્રોફેસર સપ્તઋષિ મજુમદાર, ડો.ચંદ્ર શેખર શર્મા અને તેમના પીએચડી વિદ્વાનો મૃણાલિની ગેધાને અને અનંદિતા લાહા છેલ્લા બે વર્ષથી આઇઆઇટી હૈદરાબાદમાં આ સોલ્યુશન પર કામ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ રોગ કોરોના પછી અસ્તિત્વમાં આવ્યો એવું નથી. આ રોગ ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે.
“બે વર્ષના અભ્યાસ પછી, સંશોધનકારોને વિશ્વાસ છે કે આ શોધને મોટા પાયે ઉત્પાદન માટે યોગ્ય ફાર્મા ભાગીદારને આપી શકાય એમ છે.” આ શોધને લઈને આ બાબત સંસ્થાએ જણાવી હતી.
સંસ્થાએ એમ પણ કહ્યું કે “બ્લેક ફંગસ અને અન્ય ફંગસની સારવાર માટે હાલમાં દેશમાં કાલાજારનો (Kala Azar) ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને તેની ઉપલબ્ધતા અને પોષણક્ષમ દરને ધ્યાનમાં રાખીને આ દવાના તાત્કાલિક પરીક્ષણની મંજૂરી આપવી જોઈએ.”
સંશોધન કાર ડોક્ટર શર્માએ કહ્યું કે આ તકનીક બૌદ્ધિક સંપત્તિ હકોથી મુક્ત રાખવામાં આવી છે જેથી તે લોકોને પોસાય અને સુલભ દરે મોટા પાયે ઉપલબ્ધ થઈ શકે.