DRDO એ આકાશ-NG મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ત્રણ દિવસમાં બીજી સફળતા, વાયુસેનાની તાકાતમાં વધારો થશે
નવી જનરેશનની આકાશ મિસાઇલ (Akash NG))નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ હાઇ-સ્પીડ વાળા માનવરહિત લક્ષ્યને નાશ કરવા માટે કરવામાં આવ્યું
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા 23 જુલાઇ 2021ના રોજ ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે આવેલી એકીકૃત પરીક્ષણ રેન્જ પરથી નવી જનરેશનની આકાશ મિસાઇલ (Akash NG))નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ હાઇ–સ્પીડ વાળા માનવરહિત લક્ષ્યને નાશ કરવા માટે કરવામાં આવ્યું હતું, જેને મિસાઇલે સફળતાપૂર્વક અવરોધી લીધું હતું. આ ઉડાન પરીક્ષણથી સ્વદેશી મલ્ટી–ફંકશન રડાર અને કમાન્ડ, કંટ્રોલ એન્ડ કમ્યુનિકેશન સિસ્ટમ (Control and Communication System) સાથે મિસાઇલથી સજ્જ સંપૂર્ણ શસ્ત્ર સિસ્ટમને કામકાજ કરવાની માન્યતા મળી છે. આ શસ્ત્ર સિસ્ટમનું ખરાબ હવામાનની સ્થિતિમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેથી દરેક ઋતુમાં આ શસ્ત્ર સિસ્ટમ કામ કરવા માટે સજ્જ હોવાનું સિદ્ધ થાય છે.
ચાંદીપુર સ્થિત ITR દ્વારા તૈનાત અનેક રડાર, ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા ડેટાના માધ્યમથી આ શસ્ત્ર પ્રણાલીના પ્રદર્શનને માન્ય કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓની એક ટીમ આ પરીક્ષણની સાક્ષી બની હતી. 21 જુલાઇ 2021ના રોજ, સીકર વગરની મિસાઇલનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મિશનની તમામ આવશ્યકતાઓ પૂરી થઇ હતી.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે ત્રણ દિવસના અંતરાલમાં આકાશ-NGના બીજા સફળ ઉડાન પરીક્ષણ બદલ DRDO, ભારતીય વાયુસેના અને ઉદ્યોગજગતને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમનો વિકાસ ભારતીય વાયુસેનાની વાયુ સરંક્ષણ ક્ષમતાઓમાં અભૂતપૂર્વ વૃધ્ધિ કરનારું સાબિત થશે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના ચેરમેન ડૉ. સતિષ રેડ્ડીએ આકાશ-NGના સફળ પરીક્ષણ બદલ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. આ મિસાઇલ હાઇ–સ્પીડ વાળા અને અતિ ચપળ હવાઇ જોખમોને અવરોધવા માટે સક્ષમ છે.