દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના લેશે શપથ, અપાશે 21 તોપની સલામી
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો, રાજદ્વારી મિશનના વડાઓ, સંસદના સભ્યો અને લશ્કરી અધિકારીઓના વડાઓ સમારોહમાં હાજરી આપશે.
દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) આજે સોમવારે દેશના સર્વોચ્ચ બંધારણીય પદના શપથ લેશે. તેઓ દેશના 15મા રાષ્ટ્રપતિ બનશે. આઝાદી પછી જન્મ લેનાર દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ અને ટોચના પદ પર રહેનાર સૌથી યુવા રાષ્ટ્રપતિ ( president of India) બનશે. રાષ્ટ્રપતિ બનનાર તે બીજી મહિલા પણ છે. શપથ ગ્રહણ સમારોહ સોમવારે સવારે લગભગ 10.15 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે, જ્યાં ચીફ જસ્ટિસ એનવી રમના (Chief Justice NV Ramana) તેમને પદના શપથ લેવડાવશે. આ પછી દ્રૌપદી મુર્મૂને 21 તોપોની સલામી આપવામાં આવશે. આ પછી રાષ્ટ્રપતિનું સંબોધન થશે. સમારોહ પહેલા વિદાય લેતા રાષ્ટ્રપતિ અને ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સંસદમાં પહોંચશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો, રાજદ્વારી મિશનના વડાઓ, સંસદના સભ્યો અને લશ્કરી અધિકારીઓના વડાઓ સમારોહમાં હાજરી આપશે.
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ
સ્વતંત્ર ભારતના 75 વર્ષના ઈતિહાસમાં છેલ્લો દોઢ દાયકો મહિલાઓ માટે ખાસ ગણી શકાય. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરનાર મહિલાઓ આ સમયગાળા દરમિયાન દેશના ટોચના બંધારણીય પદ સુધી પહોંચવામાં સફળ રહી છે. 2007માં પ્રતિભા દેવી સિંહ પાટીલ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યાર બાદ, દ્રૌપદી મુર્મૂ હવે દેશના રાષ્ટ્રપતિ બન્યા. શું કોઈએ ક્યારેય વિચાર્યું છે કે દિલ્હીથી બે હજાર કિલોમીટરના અંતરે આવેલા ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી તાલુકામાં આવેલા એક નાનકડા ગામ ઉપરબેડામાં એક ખૂબ જ સામાન્ય શાળામાંથી ભણેલી દ્રૌપદી મુર્મૂ એક દિવસ અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરશે. દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર બિરાજશે અને દેશની જ નહીં પરંતુ વિશ્વની શ્રેષ્ઠ ઈમારતોમાં સામેલ રાષ્ટ્રપતિ ભવન તેમનું સત્તાવાર નિવાસસ્થાન હશે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ હશે.
દ્રૌપદી મુર્મૂનો આજ 25 જુલાઈનો કાર્યક્રમ
- દ્રૌપદી મુર્મૂ તેમના હાલના નિવાસસ્થાન ઉમા શંકર દીક્ષિત લેનથી સવારે 08.15 વાગ્યે રાજઘાટ માટે રવાના થશે.
- મુર્મૂ સવારે 8.30 વાગ્યે રાજઘાટ પહોંચશે.
- મુર્મૂ સવારે લગભગ 08.40 વાગ્યે પોતાના ઘરે પરત ફરશે.
- મુર્મૂ સવારે 9.22 કલાકે રાષ્ટ્રપતિ ભવન પહોંચશે.
- જો વરસાદ ના પડે તો રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં સવારે 09:42 કલાકે સમારોહ યોજાશે. જો વરસાદ પડે તો આ સમારોહ નહી યોજાય.
- મુર્મૂ સવારે 09:50 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણથી ઔપચારિક રાષ્ટ્રપતિ કાફલામાં રવાના થશે.
- મુર્મૂ સવારે 10 વાગ્યા સુધીમાં સંસદ ભવનનાં ગેટ 5 પર પહોંચશે.
- મુર્મૂને પીએમ, લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ સેન્ટ્રલ હોલમાં લઈ જશે.
- મુર્મૂ સેન્ટ્રલ હોલમાં પહોંચતાની સાથે જ રાષ્ટ્રગીત વગાડવામાં આવશે.
- શપથ ગ્રહણ સમારોહ સવારે 10.15 કલાકે શરૂ થશે. મુર્મૂને ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાના શપથ લેવડાવશે.
- શપથ લીધા બાદ ડી મુર્મૂ શપથ રજિસ્ટરમાં સહી કરશે.
- રાષ્ટ્રપતિ મુર્મૂ સવારે 10.23 કલાકે સેન્ટ્રલ હોલમાં સભાને સંબોધશે.
- મુર્મૂ સવારે 10.57 કલાકે રાષ્ટ્રપતિ ભવન પરત ફરશે.