શું પ્રધાનમંત્રી મોદી જાતે લખે છે ભાષણ ? કે છે કોઈ ટીમ ? જાણો PMO એ શું આપી માહિતી
પ્રધાનમંત્રી મોદી તેમના ભાષણમાં એક અનોખી શૈલી ધરાવે છે. તેઓ એમના ભાષણમાં ઘણી વિગતો સાથે વાત કરે છે. PMO દ્વારા મળેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રી ખુદ આ ભાષણને અંતિમ સ્વરૂપ આપે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિગતવાર અને ઊંડાણપૂર્વકનું ભાષણ સાંભળીને, દરેકના મનમાં સવાલ આવે છે કે આ ભાષણ કોણ લખાતું હશે? અને આ ભાષણ માટે ટીમમાં કેટલા લોકો હશે અને આના માટે કેટલો ખર્ચ થતો હશે? આ જ જિજ્ઞાસાના ભાગ રૂપે સુચના અધિકારના અધિનિયમ હેઠળ પીએમઓ પાસેથી માહિતી માંગવામાં આવી હતી. જાણો વડા પ્રધાન કાર્યાલયે આ પ્રશ્નોના શું જવાબ આપ્યા છે.
પીએમ મોદીનું ચૂંટણીનું ભાષણ હોય, સંસદમાં ભાષણ હોય, મન કી બાત હોય કે બાળકો સાથે ચર્ચા હોય કે પછી કોઈ વિશ્વ મંચ પર સંબોધન હોય, દરેકમાં તેમની ભિન્ન શૈલી જોવા મળે છે. શ્રોતાઓ સાથે સીધા સંવાદમાં તેમની શૈલી લોકો સાથે કનેક્શન બાંધે છે. તેઓ પોતાના ભાષણોમાં જરૂરી સંદેશ સાથે કટાક્ષ અને ગંભીર બાબતોને સરળતાથી કહેવા માટે લોકપ્રિય છે.
પીએમ મોદીના ભાષણો વિશે માહિતી મેળવવા ખાનગી સમાચાર સંસ્થાએ આરટીઆઈ હેઠળ અરજી કરી હતી. તેના જવાબમાં પીએમઓએ કહ્યું કે વડા પ્રધાન પોતાના ભાષણને જાતે જ અંતિમ સ્વરૂપ આપે છે. પ્રોગ્રામના પ્રકાર અનુસાર, વિવિધ વ્યક્તિઓ, અધિકારીઓ, વિભાગો, એકમો, સંસ્થાઓ વગેરે દ્વારા તેમને માહિતી પહોંચાડવામાં આવે છે. અને આ માહિતીના આધારે, વડા પ્રધાન પોતે અંતિમ ભાષણ તૈયાર કરે છે.
ખર્ચ અને ટીમ અંગે જવાબ મળ્યો નથી
અરજીમાં પીએમઓને પૂછવામાં આવ્યું હતું કે વડા પ્રધાનનું ભાષણ કોણ લખે છે ? આ ટીમમાં કેટલા લોકો છે? ભાષણ લખવામાં કેટલા પૈસા ખર્ચવામાં આવે છે ? પીએમઓ દ્વારા આવા કેટલાક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા નથી.