Delhi: જામા મસ્જિદમાં છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવ્યો, ઉપરાજ્યપાલની વિનંતી પર શાહી ઈમામે લીધો નિર્ણય
દિલ્હીની જામા મસ્જિદમાં (Delhi Jama Masjid) છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જામા મસ્જિદ પ્રશાસને આ અંગે નોટિસ પણ ચોંટાડી દીધી હતી. દિલ્હીની જામા મસ્જિદમાં છોકરીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ એક દિવસ બાદ હટાવી લેવામાં આવ્યો છે.
દિલ્હીની જામા મસ્જિદમાં છોકરીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ એક દિવસ બાદ હટાવી લેવામાં આવ્યો છે. રાજનિવાસના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીના એલજી વીકે સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઈમામ બુખારી સાથે વાત કરી અને તેમને જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા આદેશને રદ કરવા વિનંતી કરી. ઈમામ બુખારી ઓર્ડર રદ કરવા માટે સંમત થયા છે.
તમને જણાવી દઈએ કે ગુરુવારે જ જામા મસ્જિદના પ્રશાસને મુખ્ય દરવાજાઓ પર નોટિસ લગાવીને મસ્જિદમાં એકલા અથવા સમૂહમાં છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણય પર વિવાદ શરૂ થયા બાદ શાહી ઈમામે કહ્યું હતું કે આ આદેશ નમાઝ પઢવા આવતી છોકરીઓ માટે નથી. મહિલા અધિકાર કાર્યકરોએ આ નિર્ણયને પ્રતિકૂળ અને અસ્વીકાર્ય ગણાવ્યો હતો. મસ્જિદ પ્રશાસનના સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા ત્રણ મુખ્ય પ્રવેશદ્વારની બહાર નોટિસ લગાવવામાં આવી હતી, જેની તારીખ ન હતી. પરંતુ એલજીની વિનંતીને પગલે ઓર્ડર રદ કરવામાં આવ્યો છે.
આ પહેલા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ નિર્ણય સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. માલીવાલે ટ્વીટ કર્યું છે કે જેટલો પુરૂષને ઈબાદત કરવાનો અધિકાર છે તેટલો જ સ્ત્રીને પણ છે. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ જાહેર કરી રહી છું. આ રીતે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો કોઈને અધિકાર નથી. મામલો વધતો જોઈને જામા મસ્જિદના પીઆરઓ સબીઉલ્લા ખાને સ્પષ્ટતા કરીને કહ્યું કે એકલી છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તે ધાર્મિક સ્થળ હોવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈબાદત કરનારાઓ માટે કોઈ પ્રતિબંધ નથી.
શાહી ઈમામે આપ્યો હતો આ તર્ક
તમને જણાવી દઈએ કે શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ જામા મસ્જિદમાં છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા દલીલ કરી હતી કે જામા મસ્જિદ ઈબાદત સ્થળ છે અને તેના માટે લોકોનું સ્વાગત છે પણ છોકરીઓ એકલી આવીને પોતાના મિત્રોની રાહ જોતી હોય છે. આ જગ્યા આ કામ માટે નથી. આના પર પ્રતિબંધ છે. બુખારીએ એમ પણ કહ્યું હતું કે આવી કોઈ પણ જગ્યા પછી તે મસ્જિદ હોય, મંદિર હોય કે ગુરુદ્વારા તે ઈબાદતની જગ્યા છે. આ કામ માટે આવવા પર કોઈ પ્રતિબંધ નથી. આજે જ 20-25 છોકરીઓ આવી અને તેમને પ્રવેશ આપવામાં આવ્યો.